સુરત સરથાણા નવજીવન સર્કલ નજીક રાત્રે એક કારમાં બેટરીમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગી જતા આખી કાર સળગીને ખાખ થઈ ગઈ હતી.જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાય ન હતી.ચાલક સમયસર બહાર નીકળી જતા બચાવ થયો હતો. ઘટનાની જાણ બાદ ફાયરના જવાનોએ તાત્કાલિક દોડી જઈને બર્નિંગ કાર પર પાણીનો મારો કરી આગને કાબૂમાં લીધી હતી.
લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી
ફાયર વિભાગે જણાવ્યું હતું કે,કોલ લગભગ 11:30 વાગ્યાનો હતો.ઘટના સ્થળે ગયા બાદ કાર ભડભડ સળગતી હતી.લોકોની ભીડ વચ્ચે બર્નિંગ કાર પર પાણીનો મારો કરી આગ કાબૂમાં લીધી હતી.તપાસ કરતા ખબર પડી હતી કે,કાર વરના હતી અને GJ-05-JP-4989 નંબરની હતી.
આખી કાર બળી ને ખાખ થઈ ગઈ
કીશન રાબડીયા (કાર ચાલક) એ જણાવ્યું હતું કે,કાર મારા મિત્ર પ્રદીપભાઈની હતી. હું વરાછા મહાવીર ચોકથી શ્યાધામ જઇ રહ્યો હતો.અચાનક બોનેટમાંથી ધુમાડો નીકળ્યા બાદ આગ ફાટી નીકળી હતી.તાત્કાલિક કાર રોડ બાજુએ દબાવી ફાયરને જાણ કરી હતી.બેટરીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરાયું હતું. ગણતરીની મિનિટોમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી.