– નાની નાની વાતે લોકોને અપીલ કરતાં ભાજપના નેતાઓ કોવિડના આંકડાઓનું સંકલન કરવામાં નિષ્ફળ
સુરત : છેલ્લા પંદર દિવસમાં સુરત શહેરમાં કોરોનાએ તાંડવ મચાવ્યું છે.જેથી મૃત્યુઆંકમાં નોંધનીય વધારો થયો હોવા છતાં કોર્પોરેશન દ્વારા મૃત્યુ આંક ખૂબ ઓછો દેખાડવામાં આવી રહ્યો છે.જેને લઈને હવે વધુને વધુ શંકા ઉભી થઈ રહી છે. સુરત શહેરના સત્તાધીશો અને વહીવટીતંત્ર મૃત્યુઆંક છુપાવી રહી છે. જેથી શહેરીજનોને સમજાતું નથી કે સારવાર લેવા કઈ હોસ્પિટલમાં જવુ ક્યાં કેટલી જગ્યા ખાલી છે તેવા આંકડાની સાથે સાથે મૃત્યુના આંકડા પણ છુપાવવામાં આવી રહ્યાં છે.સ્મશાનમાં વેઈટિંગ ચાલે છે બીજી તરફ રોજ મૃત્યુઆંક બે આંકડામાં જ દર્શાવવામાં આવે છે.નાની નાની વાતે લોકોને અપીલ કરતાં ભાજપના નેતાઓ આવા તબક્કો મૌન ધારણ કરીને બેઠા હોય તેવો ઘાટ સર્જાયો છે.જેથી લોકો પણ પરેશાન થઈ રહ્યાં છે.
આજે પણ સવારથી એમ્બ્યુલન્સમાં મૃતદેહોને સ્મશાનગૃહમાં લઈ જવામાં આવી રહ્યા છે.મહત્વની બાબત એ છે કે, અત્યાર સુધીમાં એક શબવાહિનીમાં એક મૃતદેહને લઈ જવામાં આવતો હતો પરંતુ મૃત્યુઆંક કેટલો ઊંચો છે કે, સવારમાં જ પાંચ જેટલા મૃતદેહોને લઈ જવાની ફરજ પડી રહી છે.જે ખરેખર ખૂબ જ ગંભીર અને ભયાવહ બાબત સામે આવી રહી છે.મૃતદેહોની સંખ્યા પ્રવાહીમાં જોઈને સમગ્ર શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.છતાં સત્તાધીશો મરણના સાચા આંખ છુપાવવાના તમામ ખેલ ખેલી રહ્યા છે.
સુરત શહેરના સાંસદ દર્શના જરદોશ અને નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આ બાબતે વહીવટી તંત્ર સાથે સંકલન કરવામાં અસમર્થ થઇ રહ્યા છે.એક પણ વખત દર્શના જરદોશ કે સી.આર.પાટીલ દ્વારા શહેરની સ્થિતિ અંગે શહેરના લોકો સાથે ડિજિટલ માધ્યમથી પણ સંપર્ક નથી કરાયો.શહેરમાં રોજના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતા મૃત્યુઆંક અને સ્મશાનમાં આવતા મૃતદેહોની સંખ્યામાં સામે આવતી વિસંગતતા અંગે પણ સાંસદો કે ધારાસભ્યો ફોડ નથી પાડી રહ્યા.સુરતમાં વધતા સંક્રમણ અને મૃત્યુના આઘાતથી ગભરાઈને લોકો સુરત શહેર છોડીને પોતાના માદરે વતન તરફ જવાનું શરૂ કરી દીધું છે.
નાની નાની બાબતોને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છાશવારે સોશિયલ માધ્યમો થકી લોકોને અપીલ કરતા હોય છે.પરંતુ શહેરમાં ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ કે જેમાં કોરોના સંક્રમણથી અનેક લોકોના જીવ જઈ રહ્યા છે.ત્યારે સાચી પરિસ્થિતિ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.સુરતની પ્રજા પૂછે છે કે, મૃત્યુ આંક કેટલો વધ્યો છે ત્યારે વહીવટીતંત્રને ભારતીય જનતા પાર્ટીના શાસકો ક્યારેય સાચું બોલશે તે એક મોટું રહસ્ય બની ગયું છે.બીજી તરફ લોકો સતત ડરના માહોલમાં જીવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.