– હજીરા-ઘોઘા વચ્ચે ભારત સરકારે શરૂ કરેલ રો-પેક્સ ફેરીની ભવ્ય સફળતા બાદ વધુ એક સેવાની શરૂઆત
સુરત : સુરતનાં હજીરા પોર્ટ (એસ્સાર પોર્ટ)થી દીવ વચ્ચે ક્રૂઝ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટ્સ,શિપિંગ અને વોટરવેઝ (સ્વ.હ)મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે 31મી માર્ચે સાંજે સાડા ચાર વાગ્યે હજીરાથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે.
આ ક્રૂઝ દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે.હજીરાથી દીવ જતા અંદાજે 13થી 14 કલાક જેટલો સમય લાગે છે.આ ક્રૂઝમાં 300 મુસાફરો પ્રવાસ કરી શકશે.સાથે જ તેમાં 16 જેટલી કેબિનો પણ આવેલી છે.
આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે.ત્યારબાદ શુક્રવાર,શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે.આ ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ,વી.આઈ.પી.લાઉન્જ,એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વગેરે જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.ચાર મહિના પહેલા પ્રધાનમંત્રીનાં હસ્તે ‘હજીરા-ઘોઘા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે.જેમાં માત્ર 4 માસમાં 1 લાખથી વધુ પેસેન્જર્સ તથા હજારો વાહનોએ આ સેવાનો લાભ લીધો છે.આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રૂઝ સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે.


