ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આનું મુખ્ય કારણ વિજય રૂપાણીનું રાજીનામું.વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.હવે ભુપેન્દ્ર સરકારના મંત્રીમંડળની રચનાને લઈને રાજકારણમાં ઉથલપાથલ થઈ રહી છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નો રિપીટ થિયરી મંત્રીમંડળની રચનામાં લાગુ કરવામાં આવશે.એટલે કે જો કોઈ પણ વ્યક્તિ એક વખત મંત્રી બની ગયો હશે તેને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે નહીં.
ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા યુવા ચહેરાઓને સ્થાન મળે તેવી આશંકાઓ ચાલી રહી છે.ત્યારે સુરતની મજુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષ સંઘવીને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.કારણકે હર્ષ સંઘવીએ કોરોના દરમિયાન ભાજપના યુવા મોરચા સાથે મળીને ખૂબ જ સારી કામગીરી કરી હતી.તો બીજી તરફ પક્ષમાં પણ તે આગળ વધતી કામગીરી ભજવી રહ્યા છે.તો બીજી તરફ મજુરા વિધાનસભા વોર્ડમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આશ્ચર્યજનક રીતે હર્ષ સંઘવીને રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી બનાવવામાં આવનાર છે તેવી સ્પષ્ટતા સાથેના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે. મહત્ત્વની વાત છે કે રાજ્ય સરકારે હજુ સુધી એવું નક્કી નથી કર્યું કે, કોને ક્યુ બમંત્રી પદ આપવું.તેવામાં ધારાસભ્ય હર્ષ સંઘવીને ગૃહરાજ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવશે તેવા મેસેજ વાયરલ થઇ રહ્યા છે.

સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે, ફટાકડા ફોડવાનો કાર્યક્રમ આપના મજુરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય હર્ષ સંઘવીને ગુજરાતના મંત્રીમંડળમાં ગૃહરાજ્યમંત્રી તરીકે વરણી થવા બદલ કાર્યકર્તાઓ સમર્થકોએ મોટી સંખ્યામાં સિટિલાઇટ અશોક પાનની ચાર રસ્તા પાસે 15-9-2021 સાંજે 7 કલાકે હાજર રહેવા વિનંતી.આ મેસેજ ભાજપ વોર્ડ નંબર 20ના ગ્રુપમાં વાયરલ થયો હતો.આ મેસેજ 15 તારીખનો છે અને પહેલા 15 તારીખે મંત્રીઓની શપથવિધિ યોજવાની હતી પરંતુ એકાએક નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો અને 16 તારીખે બપોરના સમયે મંત્રીઓની શપથવિધિ યોજાશે તેવી સ્પષ્ટતા CMOના ઓફિસિયલ એકાઉન્ટ પરથી માહિતી આપીને કરવામાં આવ્યા હતા.તો બીજી તરફ રૂપાણી સરકારના કેટલાક મંત્રીઓના સમર્થનમાં લોકોએ સોશિયલ મીડિયામાં કેમ્પેન પણ શરૂ કર્યા છે અને કેટલીક જગ્યા પર કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામાંની ચીમકી પણ ઉચ્ચારી છે.


