રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેર લોકો માટે ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે.કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે.તો બીજી તરફ કોરોના એક જ પરિવારના ત્રણથી ચાર સભ્યોને છીનવી લીધા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.ત્યારે સુરતમાં બાળકના જન્મના ચાર કલાક બાદ કોરોના સંક્રમિત સગર્ભાનું મોત થયું હતું.મોત પહેલા માતા તેના બાળકનું મોઢું પણ જોઈ શકી ન હતી અને આ કરૂણ ઘટનાને જઈને હોસ્પિટલ સ્ટાફની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.તો બીજી તરફ પ્રસૂતા એ બાળકને અધૂરા મહિને જન્મ આપ્યો હોવાના કારણે તેના ફેફસામાં તકલીફ હોવાનું સામે આવ્યું છે અને હાલ આ બાળકને બચાવવા માટે હોસ્પિટલના ડોક્ટરો તમામ પ્રયાસો કરી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર સુરતના માંગરોળમાં રુચિ પંચાલ તેના પરિવારની સાથે રહેતી હતી. રુચિ પંચાલ ગર્ભવતી હતી.તે સમયે તેને કોરોના સંક્રમણ થયું હતું.તેની સારવાર પણ ચાલી રહી હતી. 26 વર્ષની વયે રુચીએ અધૂરા મહિને બાળકને જન્મ આપ્યો હતો હોસ્પિટલના ડોક્ટરે રુચિ પંચાલનું સિઝેરિયન કર્યુ હતું.બાળકને જન્મ આપ્યા બાદ ચાર કલાકના સમયમાં જ રુચિ પંચાલનું મોત થયું હતું.
આ ઉપરાંત રાજકોટમાં પણ એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા અને રાજકોટમાં પણ બાળકના જન્મ પછી માતાનું નિધન થયું હતું. રાજકોટના સરધાર નજીક ઉમરાળી ગામમાં આહિર પરિવાર રહે છે.આહિર પરિવારને દીકરી શીતલ ગર્ભવતી હતી અને તેને બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મના ચાર દિવસ બાદ જ શીતલનું અવસાન થયું હતું.શીતલનું અવસાન થયું હોવાથી તેના દાદા આઘાતમાં સરી પડયા હતા અને તેમનું નિધન થયું હતું ત્યારબાદ દાદાના નાના દીકરાનું પણ કોરોનાના કારણે નિધન થયું હતું.
આ ઉપરાંત ગોંડલમાં પણ એક દિવસના અંતરે એક દંપતીનું કોરોનાના કારણે અવસાન થયું હતું.ગોંડલના જેતપુર રોડ પર મેલડી માતાનું મંદિર આવેલું છે અને મેલડી માતાના મંદિર નજીક જીતેન્દ્ર ઠૂંમર પાનની દુકાન ધરાવતા હતા.જીતેન્દ્ર ઠૂંમર અને તેમના પત્ની વસંત ઠૂંમર છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાની સારવાર લઇ રહ્યા હતા.ખાનગી હોસ્પિટલમાં વસંત ઠૂંમરનું શનિવારના રોજ નિધન થયુ હતું અને પત્નીના નિધન બાદ રવિવારે જીતેન્દ્ર ઠૂંમરનું પણ અવસાન થયું હતું.