- બીજી લહેરમાં 150 થી 2350 કેસ થતા 46 દિવસ લાગ્યા હતા
સુરત : સુરત શહેરમાં કોરોના મહામારીના ત્રીજા તબક્કાની મહામારીને ધ્યાને રાખીને એક તરફ વહીવટી તંત્ર સાબદું થઈ ચુક્યું છે ત્યારે બીજી તરફ રોજેરોજ નવા રેકોર્ડ તોડી રહેલા કેસો હવે બિહામણું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.કોરોનાની બીદી લહેરમાં 150 કેસથી 2350 કેસ સુધી પહોંચવામાં 46 દિવસનો સમય લાગ્યો હતો.જ્યારે ત્રીજા તબક્કાની મહામારીમાં જેટ ગતિએ વધી રહેલા સંક્રમણને પગલે 150 કેસથી 2500 સુધી પહોંચવામાં માત્ર 13 દિવસ લાગ્યા છે.અલબત્ત,હજી તો સુરત શહેરમાં કોરોના મહામારીની પીક દરમ્યાન રોજના 5 હજાર સુધી કેસો નોંધાઈ શકે છે.
ઓમીક્રોન વેરિયેન્ટના આગમન સાથે જ કોરોના મહામારીનો સુરત શહેરમાં વિધિવત રીતે ત્રીજા તબક્કાની મહામારીનો પ્રારંભ થઈ ચુક્યો છે.પ્રતિદિન કોરોના સંક્રમણના વધી રહેલા ગ્રાફ સાથે જ ગઈકાલે સુરત શહેરમાં અત્યાર સુધીનો સૌથી વધુ 2500 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. જો કે,બીજા તબક્કાની મહામારી દરમ્યાન 10મી માર્ચ 2021ના રોજ સૌથી વધુ 2350 કેસ નોંધાયા હતા.10મી માર્ચના રોજ 150 કેસથી 2350 કેસ સુધી પહોંચવામાં 46 દિવસનો સમય લાગ્યો હતો જ્યારે ત્રીજા તબક્કાની મહામારીમાં 1લી જાન્યુઆરીના રોજ નોંધાયેલા 150 કેસથી 2500 કેસનો આંકડો પાર કરવામાં માત્ર 12 દિવસ લાગ્યા છે.આમ છતાં હજી આગામી દિવસોમાં આ આંકડો પાંચ હજારની સપાટીને પણ વટાવી જાય તેવી સંભાવના પણ વહીવટી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવાઈની વાત એ છે કે, બીજા તબક્કાની મહામારી દરમ્યાન 24મી એપ્રિલે નોંધાયેલા સૌથી વધુ 2321 કેસથી પુનઃ 150 કેસ સુધી પહોંચવામાં 37 દિવસનો સમયગાળો લાગ્યો હતો.જયારે હાલ ત્રીજા તબક્કાની મહામારીનો પ્રારંભ માત્ર થયો છે અને સંભવતઃફેબ્રુઆરી મહિનાના પહેલા પખવાડિયા બાદ જ સુરતમાં કેસ ઘટે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
28 હજાર એક્ટીવ કેસનો રેકોર્ડ પણ તુટશે : સુરત શહેરમાં જે રીતે કોરોના સંક્રમણનો ગ્રાફ સતત વધી રહ્યો છે તે જોતા આગામી દિવસોમાં એક્ટીવ કેસની સંખ્યાનો પણ રેકોર્ડ ધરાશાયી થશે.બીજા તબક્કાની મહામારી દરમ્યાન સુરત શહેરમાં મહત્તમ એક્ટીવ કેસ 28 હજાર નોંધાયા હતા જ્યારે અત્યારે ત્રીજા તબક્કાના પ્રારંભ દરમ્યાન જ હાલ સુરત શહેરમાં 11 હજાર જેટલા એક્ટીવ કેસ નોંધાઈ ચુક્યા છે.
રાહતઃ એક્ટીવ કેસના ત્રણ ટકા જ દાખલ થશે : ત્રીજા તબક્કાની મહામારીમાં સંક્રમણનો ગ્રાફ ભલે ગમે તેટલો ઉપર જાય પરંતુ બીજા તબક્કાની મહામારી દરમ્યાન જોવા મળેલા ભયાવહ દ્રશ્યો ભુતકાળ સાબિત થશે તેમાં કોઈ બેમત નથી.હાલની સ્થિતિને જોતા સુરત શહેરમાં કુલ એક્ટીવ કેસના માંડ ત્રણેક ટકા દર્દીઓને જ સારવારની આવશ્યકતા ઉભી થાય તેવી શક્યતા છે.અલબત્ત,બીજા તબક્કાની મહામારી દરમ્યાન સુરત શહેરની સિવિલ અને સ્મીમેર સહિતની ખાનગી હોસ્પિટલોમાં સારવારગ્રસ્ત દર્દીઓનો આંકડો 4400 પર પહોંચ્યો હતો.
ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ બાદ કેસો ઘટશે : પ્રમુખ શહેરો પૈકી દિલ્હી અને મુંબઈમાં કોરોના સંક્રમણના ત્રીજા તબક્કાની મહામારીની પેટર્નને જોતાં સુરત શહેરમાં આગામી ફેબ્રુઆરી મહિનાના પહેલા સપ્તાહથી કોરોના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો નિશ્ચિતપણે જોવા મળશે.જો કે,આ દરમ્યાન સતત વધી રહેલા કેસો નિશ્ચિતપણે વહીવટી તંત્ર અને શહેરીજનો માટે ચિંતાનો વિષય સાબિત થઈ શકે છે.