સુરત શહેરના સચિન જીઆઈડીસીની શિવાંજલી સોસાયટીમાં પ્રેમી પંખીડાઓએ હૂકમાં દુપટ્ટો અને કાપડ બાંધી ગળેફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. પિતરાઈ ભાઈ-બહેન પ્રેમમાં પડ્યાં બાદ લગ્ન માટે રૂપિયા ભેગા થાય પછી લગ્ન કરાવવાની પરિવારે વાત કરતાં આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાનું બહાર આવ્યું છે. પિતરાઈ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ બાદ બન્નેએ આત્મહત્યા કરી ફાની દુનિયાને અલવિદા કરી દેતાં ચર્ચાનો વિષય બન્યો છે. સચિન જીઆઈડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મૃતક યુવક જરી મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો
ઇન્દર નિશાદ (મૃતક સંતરામનો ભાઈ)એ જણાવ્યું હતું કે સંતરામ રામસેવક નિશાદ (ઉં.વ. 19, રહે. નેમારામની ચાલ શિવાંજલી સોસાયટી સચિન જીઆઈડીસી) ચાર ભાઈઓમાં ત્રીજા નંબરનો ભાઈ હતો. મૂળ યુપીના રહેવાસી છે. સંતરામ સચિન જીઆઈડીસીમાં જરી મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો. તમામ ભાઈ સહિત 6 જણા એક જ રૂમમાં એટલે કે રૂમ નંબર 13માં જ રહેતા હતા.
એક હૂક સાથે દુપટ્ટો અને કપડું બાંધી લટકતી હાલતમાં જોયાં
વધુમાં તેમણે જણાવ્યું હતું કે સવારે કામ પર ગયા બાદ સાંજે સાત વાગે રૂમ પર પરત આવ્યો ત્યારે દરવાજો ખુલ્લો હતો. અંદર પ્રવેશ કરતાં બન્ને એક હૂક સાથે દુપટ્ટો અને કપડું બાંધી લટકતી હાલતમાં જોયા બાદ ડરના મારે બહાર દોડી આવી ગયો હતો. ત્યાર બાદ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે આવેલી પોલીસે પેપરવર્ક કરી બન્નેના મોબાઈલ જપ્ત કર્યા હતા. બન્ને લગભગ 4-5 મહિનાથી જ એકબીજાને ઓળખતાં હોવાનું અને પ્રેમમાં હોવાનું ઇન્દરે જણાવ્યું હતું.
આપઘાત પાછળનું અન્ય કોઈ કારણ જાણી શકાયું નથી
તેમણે ઉમેર્યું હતું કે લગ્ન કરાવી આપવા સંતરામ 2-3 દિવસ પહેલાં જીદ કરતો હતો. જોકે પૈસા ભેગા થાય એટલે લગ્ન કરાવી દઈશ, એમ કહ્યું હતું. આખરે બન્નેએ આપઘાત કરી લીધો હતો. હાલ આપઘાત પાછળનું અન્ય કોઈ કારણ જાણી શકાયું નથી.
મૃતકો મામા-ફૂઈનાં ભાઈ-બહેન
ગંગા ચરણ (મૃતક પૂનમ ઉર્ફે લક્ષ્મી ઉં.વ. 17ના પિતા)એ કહ્યું હતું કે અક્ષય પટેલની ચાલ શિવાંજલી સોસાયટી સચિન જીઆઈડીસીમાં રહીએ છીએ. ઘટનાસ્થળેથી માત્ર 150 ફૂટ દૂર કહી શકાય. હું યુપીનો રહેવાસી અને ટીએફઓ ઓપરેટર તરીકે કામ કરી એકની એક દીકરી અને એકના એક દીકરાનું ગુજરાન ચલાવું છું. દીકરી સાથે આપઘાત કરી લેનાર મૃતક સંતરામ મારો ભાણિયો થાય છે.
મૃતક પૂન દોઢ મહિના પહેલાં જ સુરત આવી હતી
બન્નેના પ્રેમપ્રકરણની જાણ થયા બાદ હું વતન જઈ બહેનને હાથ-પગ જોડી બન્નેના લગ્નની વાત કરવાનો જ હતો. જોકે બન્નેની ધીરજ ખૂટી ગઈ અને આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દીકરી પૂનમ દોઢ મહિના પહેલાં જ પહેલીવાર સુરત આવી હતી. બન્ને એકબીજાને વતનથી જ ઓળખતાં હતાં.