– સરકારપક્ષે રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી ફાંસીની સજાની માગ કરી હતી, જે માન્ય રખાઈ
સુરત : સુરતમાં બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનારા આરોપીઓને કોર્ટમાં તાબડતોડ ઝડપી કાર્યવાહી કરીને સજા સંભળાવાઈ રહી છે.ત્યારે ડિસેમ્બર-2020 દરમિયાન પાંડેસરા વિસ્તારની દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી ઈંટના ઘા મારી હત્યા કરનાર આરોપી દિનેશ બૈસાણેને ગઈ 10મી ડિસેમ્બરના રોજ એડિશનલ સેશન્સ જજ એ.એન.અંજારિયાએ તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો.જ્યારે આજે સજા સંભળાવતાં દોષિતને ફાંસીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
હાલમાં લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી.ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષી,પચનામાના સાક્ષી,સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ, ભોગ બનનારનાં માતા-પિતા,લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઘટના શું હતી?
પાંડેસરા વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકી તા.7-12-2020ના રોજ પોતાના મોટા કાકાના ઘરની બહાર એકલી રમતી હતી.ત્યારે આરોપી દિનેશ દશરથ બૈસાણેએ તેને વડાપાંઉ ખવડાવવાની લાલચ આપી હતી અને નાસ્તાની લારી પર લઈ ગયો હતો. ત્યાર બાદ તેને ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સામે ઝાડીમાં લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું.બાળાએ પ્રતિકાર કરી આરોપીની જમણા હાથની આંગળી પર બચકું ભરી લીધું હતું.આરોપીએ ઉશ્કેરાઇ જઈને બાળકીને માથા પર ઈંટના 7 ઘા મારી હત્યા કરી દીધી હતી.બાળકીના વાલીએ આરોપી સામે અપહરણ,દુષ્કર્મ-હત્યા અને પોક્સો એક્ટના ભંગ અંતર્ગત ફરિયાદ નોંધાવતાં પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
હાલમાં લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ પોલીસે 15 દિવસમાં જ 232 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી.ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ,પંચનામાના સાક્ષી,સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ,તબીબી સાક્ષીઓ,ભોગ બનનારનાં માતા-પિતા,લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલએ ચાર્જફ્રેમની કાર્યવાહી બાદ કેસ કાર્યવાહીનો પ્રારંભ કરીને 45 સાક્ષીની સરતપાસ તથા બચાવપક્ષે ઊલટતપાસની કાર્યવાહી પૂરી કરી હતી,જેથી કોર્ટે આરોપી દિનેશ બૈસાણેને દોષિત જાહેર કર્યો હતો અને આજે (16 ડિસેમ્બર)ના રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.


