– મનપા સંચાલિત સિટીલિંક બસમાં રૂ.25ની ટિકિટ પર આખા દિવસની અમર્યાદિત મુસાફરી
– સુરતમાં ટ્રાફિક-પ્રદૂષણ ઘટાડવા મહાનગરપાલિકાનું આયોજન
સુરત : સુરત શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને પ્રદૂષણ ઘટાડવા તેમજ મધ્યમ અને મજૂર વર્ગને આર્થિક રીતે પહોંચી વળે તે માટે સુરત મહાનગરપાલિકા બસ સેવાનું આયોજન કરી રહી છે.હાલમાં સુરતમાં 58 જુદા જુદા રૂટ પર દરરોજ 2.30 લાખ લોકો બસ સેવાનો લાભ લઈ રહ્યા છે.ત્યારે હવે મનપા સંચાલિત સિટીલિંક બસમાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે.તેમાં 25 રૂપિયાની સુમન પ્રવાસ ટીકીટ લેવાની રહેશે.જેમાં આખો દિવસ અમર્યાદિત મુસાફરી કરી શકાશે.
સુરત સિટીલિંકની મળેલી બોર્ડ મીટીંગમાં જાહેર પરિવહન સેવાઓમાં ડિજિટલ કેશલેસ વ્યવહારોને પ્રાધાન્ય આપવા અને નાગરિકો માટે મનીકાર્ડમાં એક મહિના માટે 100% મુસાફરી ડિસ્કાઉન્ટનો લાભ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.મધ્યમ વર્ગ ઉપરાંત રોજબરોજના મુસાફરોને આર્થિક રીતે બચાવવા અને શહેરમાં પ્રદુષણ ઘટાડવા તેમજ ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે સીટી બસ અને બીઆરટીએસ બસમાં 25 રૂપિયાની ટિકિટ લઈને આખા દિવસની અમર્યાદિત મુસાફરીની સુવિધા શરૂ કરવામાં આવી છે.
બસના ભાડા વિવિધ કેટેગરીમાં આપવામાં આવે છે.સરલ પાસ યોજના હેઠળ અમર્યાદિત મુસાફરી પ્રીપેડ કાર્ડ જારી કરવામાં આવશે.જેમાં વિદ્યાર્થીઓની વાર્ષિક ફી રૂ. 1000, છ માસિક રૂ. 500, ત્રિમાસિક રૂ. 300 છે.મહિલાઓ માટે વાર્ષિક 5 હજાર, છ મહિના માટે 2600 રૂપિયા, ક્વાર્ટર દીઠ 1350 રૂપિયા અને મહિને 500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.વરિષ્ઠ નાગરિકો માટે 1000, છ મહિના માટે 500, ત્રિમાસિક માટે 300. નક્કી કરવામાં આવ્યા છે.
સમગ્ર દેશમાં સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં એક જ ટિકિટ લઈને BRTS અથવા સિટી બસમાં મુસાફરી કરી શકાય છે.હાલમાં શહેરમાં 13 BRTS અને 45 સિટી બસો સહિત 58 રૂટ પર ચાલતી બસોમાં દરરોજ 2.30 લાખ નાગરિકો મુસાફરી કરી રહ્યા છે.