– જી.એ.પટેલ સામે ફરિયાદ નોંધી 60 દિવસમાં રિપોર્ટ કરવા કોર્ટનો આદેશ
સુરત : સુરતમાં 1.90 કરોડની છેતરપિંડીના ગુનાની ફરિયાદ નહીં નોંધી અરજી દફતરે નોંધવાના ગંભીર પ્રકરણમાં કોર્ટે સરથાણા પી.આઈ. જી.એ. પટેલ સામે ગુનો નોંધવા દુકમ કર્યો છે.સત્તાવાર રીતે સીઆરપીસી કલમ 154 (1) મુજબ ફરિયાદ દાખલ કરી ડી.સી.પી.ને તપાસ કરવાનો કોર્ટે હુકમ કર્યો છે.એડિશનલ સિનિયર સિવિલ જજ કે.એમ. ગોહેલે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ દાખલ નહીં કરવા બદલ સી.આર.પી. સી.ની કલમ 166 (ક) હેઠળ રાજય સેવક દ્વારા કાયદાના આદેશની અવગણના બદલ આ ફરિયાદ દાખલ કરવાનો આદેશ કર્યો છે.
કેસમાં ફરિયાદી જયદીપ છગન નાથાણીએ ગત તા. 28-9-2020ના રોજ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમ 406 અને 420 કલમ મુજબ સરથાણામાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ પી.આઈ. જી.એ. પટેલ દ્વારા ફરિયાદ નોંધી તપાસ કરવાને બદલે ગત તા. 16-12-2020ના રોજ ફરિયાદ દફતરે કરી દીધી હતી.જેને પગલે ફરિયાદીએ કોર્ટનું શરણું લેતા સિવિલ કોર્ટે પી.આઈ. જી.એ. પટેલ સામે ફરિયાદ દાખલ કરી ડી.સી.પી.ને તપાસ કરવા અને રિપોર્ટ 60 દિવસમાં કોર્ટ સમક્ષ રજૂ કરવાનો હુકમ કર્યો છે.
ફરિયાદી જયદીપ છગને નાથાણી સરથાણા વિસ્તારમાં ઓનલઆઈના ગેમિંગ એપ્લિકેશન બનાવી તેના આધારે સટ્ટો રમાડતા કેસના આરોપી રસિક સતાસીયાના સંપર્કમાં આવ્યા હતા.જયદીપે સાત એપ્લિકેશનમાં રૂ. 1.90 કરોડનું રોકાણ કર્યું હતું.જેને પગલે રસિકે ફરિયાદીને એપ્લિકેશનના આઈડી અને પાસવર્ડ પણ આપ્યા હતા.પરંતુ આ સમયમાં લોકડાઉન આવી જતાં ઓનલાઈન ગેઈમની સાઈટો બંધ થઈ ગઈ હતી.જેને પગલે જયદીપ આરોપી રસિક પાસે પૈસા પાછા માગતા રસિકે ગાળાગાળી કરી કાઢી મૂકતા ફરિયાદી તરફે કોર્ટમાં ખાનગી ફરિયાદ દાખલ કરાઈ હતી,પરંતુ મોટી રકમની છેતરપિંડીની ફરિયાદ પણ દાખલ કરીને તપાસ કરવાને બદલે પી.આઈ. દ્વારા તેને દફ્તરે કરી દેવાતા આજે કોર્ટે પી.આઈ. જી.એ પટેલ સામે જ ગુનો દાખલ કરી તપાસ કરવાનો આદેશ કર્યો છે.


