સુરત જિલ્લામાં એક દુઃખદ કિસ્સો સામે આવ્યો છે.જેમાં 24 વર્ષીય યુવતીએ પોતાની સગાઈ પહેલા જ આપઘાત કરી લેતા પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા છે.યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.સુરતના બારડોલીના ધામદોડ લુભા ગામ ખાતે આ બનાવ બન્યો હતો. આપઘાત કરી લેનારી યુવતીએ.બી.ઈ. સુધીનો અભ્યાસ કર્યો છે.આપઘાત કરી લેનાર યુવતીનું નામ અંજલી છે.અંજલીની બે બહેનોનાં લગ્ન થઈ ગયા છે,જ્યારે પરિવારે પાંચ દિવસ બાદ અંજલીને સગાઈ નક્કી કરી હતી.આ દરમિયાન જ અંજલીએ આપઘાત કરી લેતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.
મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્ય પ્રદેશના ગિરવરસિંહ પરપાલસિંહ ભદોરીયા એક કારના શોરૂમ ખાતે વૉચમેન તરીકે નોકરી કરે છે.તેમને સંતાનમાં 24 વર્ષની દીકરી હતી જેની સગાઈ નક્કી કરી હતી.બુધવારે ગિરવરસિંહ પોતાના નિત્યક્રમ પ્રમાણે સવારે ઉઠીને નોકરી પર ચાલ્યા ગયા હતા.જે બાદમાં તેમના પત્ની મંદિર જવાની તૈયારી કરતા હતા.
દીકરીએ દરવાજો ન ખોલ્યો
માતાને મંદિર જવાનું હોવાથી તેણીએ પોતાની દીકરીને ઉઠવા માટેની બૂમ પાડી હતી.જોકે,અનેક વખત કહેવા છતાં અંજલીએ દરવાજો ખોલ્યો ન હતો.જે બાદમાં તેમને કંઈક અજુગતુ બન્યાની શંકા પડી હતી.આ દરમિયાન યુવતીના ભાઈઓ પણ જાગી ગયા હતા.તેમણે બારીમાંથી જોયું તો અંજલી પંખા સાથે લટકી રહી હતી.જે બાદમાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.આ મામલે પોલીસે અકસ્માતે મોતને ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.અંજલીએ કયા કારણથી આપઘાત કરી લીધો છે તે જાણવા મળ્યું નથી.
પાંચ દિવસ બાદ સગાઈ હતી
મળતી માહિતી પ્રમાણે આગામી 15મી માર્ચના રોજ અંજલીની અમદાવાદના યુવક સાથે સગાઈ નક્કી કરવામાં આવી હતી.અમદાવાદનો પરિવાર અંજલીના ઘરે આવ્યો હતો અને 15મી તારીખે સગાઈ નક્કી કરી હતી.આ માટેની તમામ તૈયારી પણ કરી દેવામાં આવી હતી.બીજી તરફ સગાઈના પાંચ દિવસ પહેલા જ અંજલીએ આપઘાત કરી લેતા બંને પક્ષના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.અંજલીએ કયા કારણોસર આપઘાત કરી લીધો છે તે વાત જાણવા મળી નથી.આ મામલે પોલીસ તપાસ બાદ જ કોઈ કારણ સામે આવશે.