સુરતમાં કોરોના મહામારીના 10 મહિના બાદ આનંદ અને ઉત્સાહ સાથે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરતા દેખાયા હતા.વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર શાળાઓ શરૂ થયાનો આનંદ સ્પષ્ટ જોઈ શકાતો હતો.તમામ વિદ્યાર્થીઓએ સરકારની SOPનું પાલન કરી શાળામાં પ્રવેશ કર્યો હતો.ક્લાસ રૂમમાં વિદ્યાર્થીઓના પ્રાર્થના અને રાષ્ટ્રીય ગીતના કાર્યક્રમ બાદ શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું હતું
10 મહિના બાદ ફરી વિદ્યાનું મંદિર વિદ્યાર્થીરૂપી ભક્તોથી ભરાયું
શાળાના શિક્ષકોના નિરીક્ષણ વચ્ચે વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી કલાસમાં ગયા હતા. એટલું જ નહીં,પણ જે વાલીઓએ સંમતિપત્ર ન આપ્યું તેવા વિદ્યાર્થીઓનું ઓનલાઈન અભ્યાસ જ ચાલુ રાખ્યો છે.એ માટે શાળાએ પણ ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થાને જાળવી રાખી હતી.શાળાના શિક્ષકોએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ શાળામાં આવતા ન હતા, પણ તમામ શિક્ષકો શાળામાં આવતા અને બંધ ક્લાસરૂમ અને ખાલી બેન્ચ જોઈ દુઃખી થતા હતા.શાળા એક વિદ્યાનું મંદિર છે અને વિદ્યાર્થીઓ જ અમારા ભક્ત છે. 10 મહિના બાદ ફરી વિદ્યાનું મંદિર ભક્તોથી ભરાઈ ગયું હોય એમ કહી શકાય છે
માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ,સેનિટાઇઝ વગર વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં
ભૈરવીબેન દેસાઈ (ઇન્ચાર્જ આચાર્ય,આઈએન ટેકરાવાળા)એ જણાવ્યું હતું કે લગભગ 10 મહિનાથી શાળાઓ બંધ હતી,પણ ઓનલાઇન અભ્યાસ માટે તમામ શિક્ષકો શાળામાં આવતા હતા.ક્લાસ રૂમ ખાલી જોઈ ખૂબ જ દુઃખ થતું હતું.આજે ફરી એકવાર વિદ્યાર્થીઓને શાળામાં આવતા જોઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.હવે શિક્ષકોની જવાબદારી બને છે કે તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ પહેલા કોરોના મહામારી સામે રક્ષણ આપતા વિચારોમાં બાંધે,જેથી તેઓ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ,સેનિટાઈઝ વગર વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાનું પાલન કરી રહ્યા છે.એક ક્લાસમાં એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડવાની વ્યવસ્થા ગોઠવાઈ છે.શાળામાં આવતા અને શાળા છૂટ્યા બાદ ઘરે જતા તમામ વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સારું બની રહે એની જવાબદારી શાળાના શિક્ષકોની સાથે આચાર્ય અને ટ્રસ્ટીઓની છે
શાળામાં રૂબરૂ અભ્યાસ શરુ થતાં વિદ્યાર્થીઓ માટે ફાયદારૂપ
ફેની પટેલ (ધોરણ-12 સાયન્સ વિદ્યાર્થિની, આઈએન ટેકરાવાળા)એ જણાવ્યું હતું કે 10-11 મહિના બાદ શાળા શરૂ થઈ છે એ ખૂબ જ આનંદની વાત છે.આજદિન સુધી ઓનલાઈન અભ્યાસ કરતાં હતાં, જેમાં કંઈ સમજ પડે નહીં એવા માહોલ વચ્ચે અભ્યાસ કર્યો હતો. હવે શાળામાં રૂબરૂ અભ્યાસ શરુ થયો છે,જે વિદ્યાર્થીઓ માટે ફાયદારૂપ કહી શકાય છે. લેબના રૂબરૂ પ્રેક્ટિકલ પણ ટકાવારી માટે ફાયદારૂપ કહી શકાય છે. શાળાના અભ્યાસમાં રિવિઝન કરવા મળશે, જે બોર્ડની પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓને કામ આવશે.શાળાનું બોર્ડનું પરિણામ પણ સારું લાવવાની જવાબદારી નિભાવવામાં વિદ્યાર્થીઓ સફળ રહેશે.