– બે કલાક ગાયબ અતુલે ભાજપના નેતાઓ સાથે મિટિંગ કર્યાનો આક્ષેપ
– મૃતક મહિલાના ભાઈએ કહ્યું- કોઈપણ ભોગે હું ન્યાય લઈને જ જંપીશ
સુરત : સુરત શહેરમાં વેસુ વિસ્તારમાં હિટ એન્ડ ડ્રીન્ક પ્રકરણમાં અતુલ બેક્ટેરિયા સામે ચાલી રહેલી તપાસ ને લઈને અનેક પ્રશ્નો સર્જાયા છે.આપના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આક્ષેપ કર્યો છે કે,પોલીસ તપાસમાં તટસ્થતા દેખાતી નથી.અતુલ વેકરિયા સામે હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ તેને બદલે અન્ય કલમો લગાડીને તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અકસ્માતની રાત્રે તપાસ કરતા અતુલ વેકરિયા પોલીસ સ્ટેશનમાં પણ મળી આવ્યા ન હતા.મૃતક ઉર્વશી ચૌધરીના ભાઈ નીરજ ચૌધરીના કહેવા પ્રમાણે કોઈપણ ભોગે હું ન્યાય લઈને જ જંપીશ.મને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે.
આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતાએ મોટો ખુલાસો કર્યો છે.એમના કહેવા મુજબ અતુલ વેકરિયાએ કરેલા અકસ્માત બાદ તેઓ પોતે 11:30 ઉમરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોલીસ અધિકારીને પૂછ્યું કે અતુલ વેકરિયા કયા છે તો તેમણે જવાબ આપ્યો હતો કે, અતુલ વેકરિયા હોસ્પિટલ ગયા છે.તેમણે એવી કોઈ સ્પષ્ટતા ન કરી કે તેઓ કયા હોસ્પિટલ ગયા છે.જેથી આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી પહેલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.એમને એવો ખ્યાલ હતો કે, કદાચ એમની મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હશે પરંતુ ત્યાં તેઓ પહોંચ્યા બાદ તપાસ કરી તો અતુલ ત્યાં પહોંચ્યા ન હતા.
અકસ્માતમાં ઇજા પામેલી ઉર્વશી ચૌધરીને વેસુ વિસ્તારને મૈત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યાં પહોંચ્યા હતા ત્યાં તપાસ કરી તો જાણવા મળ્યું કે અતુલ વેકરિયા ત્યાં પણ પહોંચ્યા નથી.ત્યારબાદ તેઓ ફરી સિવિલ હોસ્પિટલ ગયા હતા પરંતુ ફરી તપાસ કરતા વેકરિયા મળ્યા નહોતા.આખરે તેમણે ઉમરા પોલીસ સાથે સંપર્ક કરીને અતુલ વેકરિયા ક્યા છે તે અંગે પૂછતા પોલીસે કોઇ પણ પ્રકારનો ખુલાસો કર્યો ન હતો.અતુલ વેકરિયાની જે સ્કોર ફોર્ચ્યુન ગાડી હતી તે ઉમરા પોલીસ સ્ટેશનની બહાર પડી હતી,પરંતુ અતુલ વેકરિયા પોલીસ સ્ટેશનમાં ન હતા અને હોસ્પિટલે તપાસ માટે ગયા ન હતા તો તેઓ કયા હતા તે વાત સૌથી મોટું રહસ્ય સર્જી રહી છે.
અકસ્માત થયા બાદ આરોપીને પીસીઆર વાનમાં બેસાડીને ઉમરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.પરંતુ અતુલ વેકરિયા બે કલાક સુધી ઉમરા પોલીસ સ્ટેશનથી બહાર કયા ગયા હતા તે અંગે પોલીસ અધિકારીઓ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી રહી નથી.આપના નેતા સીધો આક્ષેપ કર્યો છે કે એ જ સમય દરમિયાન અતુલ બેકરી અને ભાજપના નેતાઓ સાથે મિટિગ થઇ હોય શકે છે.નેતાઓના ઈશારે જ અતુલ વેકરિયા સામે હત્યાનો ગુનો દાખલ ન કરીને પીડિત પરિવાર સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.
મૃતક ઉર્વશી ચૌધરીનો પરિવાર બારડોલીનો રહેવાસી છે.હાલ તેનો પરિવાર તેની અંતિમક્રિયામાં વ્યસ્ત છે.મૃતકના ભાઇ નીરજ ચૌધરીના કહેવા પ્રમાણે કોઈપણ ભોગે હું ન્યાય મેળવીને જ જંપીશ.મને ન્યાયાલયમાં સંપૂર્ણપણે વિશ્વાસ છે.નીરજ ચૌધરીએ આ અંગે વધુ કોઈ વાત કરી ન હતી પરંતુ તેમના નજીકના સ્વજનો પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસથી દુઃખી જણાયા હતા.જે રીતે ગણતરીની કલાકોમાં જ અકસ્માતમાં નશાની હાલતમાં એક વ્યક્તિને કચડી નાખનાર આરોપીને ગણતરીના કલાકોમાં જામીન કેવી રીતે મળી ગયા તેને લઈને તેઓ દુઃખી હતા.