સુરત : સુરતના ઉધના બસ સ્ટેન્ડ પાસે બેફામ બનેલા આઈસર ટેમ્પા ચાલકે માતા અને બે પુત્રોને અડફેટે લીધા હતા.જેમાં બે પુત્રોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા જયારે માતાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.આ બનાવમાં પોલીસે ટ્રક ચાલકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગઈકાલે સાંજે થયો હતો અકસ્માત
સુરતના ઉધના બસ ડેપો પાસે પુરપાટ ઝડપે આવી રહેલા આઈસર ટ્રક ચાલક (નં.જીજે-05-એઝેડ-3795)એ માતા અને તેના બંને પુત્રોને અડફેટે લીધા હતા.અકસ્માતની આ ઘટના બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો.બીજી તરફ ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું.આ બનાવમાં બંને બાળકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે લોકોએ માતાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.જેમાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું.બીજી તરફ રોષે ભરાયેલા ટોળાએ ટ્રકમાં તોડફોડ પણ કરી હતી.આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.પોલીસે આ ઘટનામાં ટેમ્પા ચાલક ઉમેશ વીરેન્દ્ર યાદવને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પત્ની પતિને મદદ રૂપ થવા કારખાનામાં કામ કરતી હતી
મૂળ ઉત્તર પ્રદેશના અમીરપુરના વતની અને સુરતમાં પાંડેસરાની આવિર્ભાવ સોસાયટીમાં રહેતા દેવકીનંદન શર્મા કારના સીટ કવર કટીંગનું કામ કરે છે.જયારે તેમની પત્ની રબીતા પતિને મદદરૂપ થવા માટે પોતાની બહેન બબીતા સાથે ઉધના સ્વામીનારાયણ મંદિર પાસે પેન્ટ અને ટીશર્ટના કારખાનામાં કામ કરે છે.દેવકીનંદનના બે પુત્રો હેપ્પી ( ઉ.વ.10 ) અને સમર્થ ( ઉ.વ.7 ) ઉધનાની ભાગ્યોદય સ્કૂલમાં અનુક્રમે ધોરણ બે અને ધોરણ એકમાં અભ્યાસ કરતા હોય તેઓ બપોરે સ્કૂલમાંથી છૂટે ત્યારે રબીતા તેમને સ્કૂલેથી તેડીને પોતાના કારખાને રોજ લઈ જતી હતી.
માતા બંને બાળકોને સ્કુલેથી લઈને જતી હતી તે વેળાએ બની હતી ઘટના
દરમિયાન ગુરુવારે બપોરે પણ નિત્યક્રમ મુજબ તે બંને બાળકોને સ્કૂલેથી લઈ કારખાને આવવા નીકળી ત્યારે ઉધના બસ સ્ટેન્ડ નજીક રસ્તો ક્રોસ કરતી વેળા તેમને સચિન તરફથી ઉધના દરવાજાની દિશામાં પૂરપાટ ઝડપે જતા આઇસર ટેમ્પોના ચાલકે અડફેટે લેતા તેઓ ફંગોળાયા હતા.જેમાં આખરે માતા અને બંને પુત્રનું મોત નીપજયું હતું.