સુરત : શહેરમાં દિવસેને દિવસે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. આજે વધુ એક મહિલાને શંકાસ્પદ (Surat Women Died) લક્ષણો સાથે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જોકે, મહિલાનો રિપોર્ટ આવે તે પહેલા જ તેનું મોત થયું હતું. ફુલપાડા વિસ્તારની આ મહિલાની આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ પરિવારના ચાર લોકો દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
દેશ સાથે દુનિયાને હચમચાવી દેનારા કોરોના વાયરસનો ફેલાવો ધીમે ધીમે ગુજરાતમાં પણ વધી રહ્યો છે.બુધવારે સુરત શહેરમાં શંકાસ્પદ લક્ષણો સાથે સ્મીમેર હૉસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ થયેલી ફુલપાડા વિસ્તારની 40 વર્ષીય મહિલા પારૂલબેન સુનિલભાઈ રાઠોડનું નિધન થયું છે. રિપોર્ટ માટે ગઇકાલે જ મહિલાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.
જોકે, મહિલાનો રિપોર્ટ આવે તે પહેલા આજે તેનું નિધન થયું છે.મહિલાનો કોરોનાનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.મહિલાનું મોત થતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી આશિષ નાયકના આદેશથી તમામ ક્રિયાઓ કરી અંતિમવિધિ કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા મહિલાને આરોગ્ય વિભાગની હાજરીમાં તમામ પ્રકારની કાળજી સાથે પરિવારના 4 લોકોની હાજરીમાં અંતિમક્રિયા કરવામાં આવી હતી. મહિલાના અંતિમ સંસ્કાર અશ્વિનિકુમાર સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા. મહિલામાં કોરોનાના લક્ષણો હોવાથી કેન્દ્ર સરકારની ગાઇડલાઇ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર બાદ સ્મશાન ગૃહને પણ ડિસઇન્ફેક્ટ કરવામાં આવ્યું હતું.