બારડોલી : સુરત જિલ્લામાં કોરોનાથી મૃત્યુની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.જો કે તેમ છતાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મૃત્યુઆંક છુપાવવામાં આવી રહ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મોડી સાંજે જારી કરવામાં આવતી અખબારી યાદીમાં જિલ્લામાં માત્ર એક – બે મોત બતાવવામાં આવે છે.જેની સામે વાત કરીએ તો માત્ર બારડોલી સ્મશાનભૂમિમાં જ રોજના કોરોના ગાઈડલાઇન મુજબ 10 થી12 મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે.જિલ્લા આરોગ્ય વિભાગ આંકડા સાથે રમત રમી રહ્યો હોવાની વાતને સમર્થન મળી રહ્યું છે.
સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબુ બની ગયું છે.રોજના 300થી આસપાસ સત્તાવાર આંકડા બહાર આવી રહ્યા છે જ્યારે બિનસત્તાવાર આંક તો ખૂબ જ ઊંચો હોવાનું માનવામાં આવી રહ્યો છે.જેમ સંક્રમિતોના આંકડા વધી રહ્યા છે જેની સામે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.આ મૃત્યુઆંક તમને સરકારી ચોપડે જોવા નહીં મળે પરંતુ એના માટે સ્મશાનગૃહની મુલાકાત લેવી પડે.બારડોલીના સ્મશાનગૃહમાં સોમવારના રોજ 12 થી 13 મૃતદેહો અગ્નિ સંસ્કાર માટે આવ્યા હતા.જેની સામે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં માત્ર 1 જ મૃત્યુ બતાવવામાં આવ્યું છે.સ્મશાનગૃહમાં 24 કલાક મૃતદેહોની લાઇન જોવા મળી રહી છે.બારડોલીની ત્રણ ભઠ્ઠીઓ કોરોનાના મૃતદેહો માટે ફાળવવામાં આવી છે. જેમાં એક મૃતદેહને અગ્નિદાહ પૂરો થતાં દોઢ કલાક થાય છે અને ત્યાર બાદ દોઢ કલાક તેને ઠંડી પાડવી પડે છે.આથી મૃતદેહોને અગ્નિદાહ આપવામાં પણ સમય લાગી રહ્યો છે.આરોગ્ય તંત્રના આંકડા અને સ્મશાનગૃહના આંકડાઓમાં આસમાન જમીનનો ફરક જોવા મળી રહ્યો છે.ત્યારે સાચી હકીકત તો સ્મશાનગૃહના આંકડા પરથી જ જાણી શકાય એમ છે.
બારડોલીમાં કોરોનાને નાથવા ડે.કલેક્ટર સહિત તેમની ટીમ જીવના જોખમે રાત-દિવસ કામ કરી રહી છે
બારડોલી નગર અને તાલુકામાં કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળતા બારડોલી ડેપ્યુટી કલેક્ટર વી.એન.રબારી, મામલતદાર જીજ્ઞાબેન પરમાર, ડી.વાય.એસપી રૂપલબેન સોલંકી સહિત તેમની ટીમ ચિંતિત બની આ કોરોનાને નાથવા માટે સતત મહેનત કરી રહી છે.અને સતત મોનિટરિંગ કરી લોકોને આ વાઇરસ અંગે માહિતગાર કરી પોતાના જીવના જોખમે રાત-દિવસ જોયા વગર પ્રસંશનીય કામગીરી કરી રહ્યા છે.આ કામગીરીને પ્રજાજનો આવકારી રહ્યા છે.
રેમડેસીવીર ના બીજા ડોઝના 500થી વધુ ઇન્જેક્શન હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા
કોરોના વાઇરસના વધી રહેલા પ્રકોપ સામે તેની સારવારમાં કારગત પુરવાર થઈ રહેલા રેમડેસીવીર ઇન્જેક્શનની અછત વર્તાય રહી છે.જેને કારણે અનેક દર્દીઓએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે.જ્યારે બારડોલી પ્રાંત વી.એન.રબારી,જીજ્ઞાબેન પરમારે રેમડેસીવીરનો જથ્થો બારડોલીની પ્રજાને મળી રહે તે માટે પણ સતત પ્રયાસો ચાલુ રાખ્યા છે અને રેમડેસીવીર ના બીજા ડોઝના 500થી વધુ ઇન્જેક્શન જે તે હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવતા તેમની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.


