દારૂના કેસમાં પકડાયેલા ચોકીદારનું સોમવારે સવારે સિવિલના બિછાને મોતને ભેટતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.વરાછા પોલીસે બેરહમીપુર્વક ફટકાર્યો હોવાનો આક્ષેપ થયો છે,પરિવારે મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કરતાં દોડધામ મચી હતી.
મુળ મધ્યપ્રદેશ, ગ્વાલિયરના વતની શિવસીંગ કુંવરસીંગ તોમર (ઉં.વ.50) વરાછા રોડ સ્થિત સુતરીયા જેમ્સ નામની ડાયમંડ ફેક્ટરીમાં ચોકીદાર તરીકે નોકરી કરી ત્યાંજ રહેતા હતા.ગત તા. ૧લીએ વરાછા પોલીસે શિવસીંગની દારુના કેસમાં ધરપકડ કરી બીજા દિવસે તેને કોર્ટમાં રજૂ કરી જામીન પર છોડાયા હતા.શુક્રવારે સાંજે શિવસીંગ વરાછા પોલીસે કબ્જે કરેલો મોબાઈલ ફોન અને રોકડા રૂ. પાંચ હજાર બાબતે પુછપરછ કરવા પહોંચ્યાં હતા.ત્યારે અહીં પોલીસે તેમને ઢોર માર માર્યો હોવાના આક્ષેપો પરિવારજનોએ કર્યો હતો.
શિવસીંગને ગંભીર હાલતમાં પ્રથમ સ્મીમેર અને બાદમાં સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.દરમિયાન સોમવારે સવારે સિવિલના બિછાને શિવસીંગએ અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે મારતા બ્રેઈમ હેમરેજ થવાથી શિવસીંગનું મોત થયાનો આક્ષેપ પરિવારે કર્યો હતો.
અમને ન્યાય નહીં મળે તો રેલી કાઢીશું
આ કેસમાં મૃતક શિવસીંગના ભત્રીજા સતિષ તોમરે ત્રણ દિવસ પહેલા જ તલસ્પર્શી તપાસ કરવા માટે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી છે. ‘પોલીસને દેશ કે જવાન કે પિતા કો માર ડાલા હૈ’ એવો આક્ષેપ કરી તેમણે વરાછા પોલીસના સર્વેલન્સ સ્ટાફ સામે કડક કાર્યવાહી માંગ કરી હતી.
મગજમાં રક્તસ્ત્રાવ થવાને કારણે મોત
પોસ્ટમોટર્મ દરમિયાન શિવસીંગનું મોત મગજમાં રક્તસ્ત્રાવ થવાને કારણે થયું હોવાનું બહાર આવ્યું છે.શિવસીંગને સિવિલમાં દાખલ કરાયો ત્યારે તેનું બીપી વધેલું હતું.તેના શરીરે માર મરાયો હોય એવી કોઈ બાહ્ય ઇજાના નિશાન નથી.રક્તસ્ત્રાવ કયા કારણોસર થયો છે, તે જાણવા માટે હિસ્થો-પેથોના સેમ્પલ લીધા છે. રિપોર્ટ આવ્યાં બાદ વધુ સ્પષ્ટતા થશે.
મૃતક શિવસીંગના આર્મી પુત્રની સરકારને અપીલ
આર્મીમાં ફરજ બજાવતા મૃતક શિવસીંગના પુત્ર અંકુશે એક વિડીયો વાઈરલ કરી તેના પિતાના મોત માટે જવાબદાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.તેણે પણ પિતાના મૃત્યુને લઈ પોલીસ પર આક્ષેપ કર્યા છે.પોલીસે તેના પિતાને છોડવા માટે પૈસાની માંગ કરી હોવાનો પણ આરોપ અંકુશે લગાવ્યો છે.
પુરાવા મળશે તો જવાબદારો સામે કાર્યવાહી થશે
પોસ્ટમોટર્મમાં બ્રેઈન હેમરેજ કારણ તરીકે બહાર આવ્યું છે.આ કેસમાં હજી પણ એસીપી સી.કે. પટેલ દ્વારા તપાસ ચાલી રહી છે.પુરાવા મળશે તો જવબાદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.પોલીસે આપેલા આશ્વાસન બાદ શિવસીંગના પરિવારે મૃતદેહ સ્વિકાર્યો હતો.