૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ભલે ડંકાની ચોટ પર કહે છે કે સુરતની તમામ ૧૨ બેઠક પર કમળ ખીલશે પરંતુ ભાજપના નેતાઓએ જ પુર્વ વિધાનસભા બેઠકને રેડ ઝોનમાં મુકી છે.આ બેઠક પર ૯૦ હજાર જેટલા લઘુમતી મત પરિણામમાં ઉલટફેર કરી શકે છે.આ બેઠક ભાજપ માટે કટોકટીની બેઠક છે જેમાં વિજય માટે મતોનો તફાવત ઘણો જ ઓછો જોવા મળે છે.જો આ ચૂંટણીમાં લઘુમતી મતોનુ વિભાજન ન થાય તો ભાજપ માટે મોટો પડકાર બની શકે તેમ છે.સુરત પુર્વ વિધાનસભા મત વિસ્તારમાં ૨.૧૯ લાખ મતદારો છે જેમાંથી ૯૦ હજારની આસપાસ મુસ્લીમ સમાજના મતદારો છે.જ્યારે રાણા અને ખત્રી સમાજના મતદારો ૪૮ હજારની આસપાસ છે.એસ.સી. અને એસ.ટી મતદારો પંદર હજાર જ્યારે ઓબીસી મતદારો ૨૫ હજાર છે.અને અન્ય સમાજના મતદારોની સંખ્યા પણ ૨૫ હજાર છે.
મુસ્લિમ સમાજનું મતદાન મોટાભાગે કોંગ્રેસ તરફ થાય છે તેની સાથે મુળ સુરતીમાંથી પણ કેટલાક મતદારો કોંગ્રેસ તરફ ઝોક ધરાવે છે.આ બેઠક પર દર વખતે અપક્ષ ઉમેદવાર મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. ૨૦૦૭માં રણજીત ગીલીટવાલા માંડ ૧૬૦૦ મતની લીડથી જીત્યા હતા તે વખતે આર.જે.ડી.ના અબ્દુલ મલબારી અને અન્ય લઘુમતી ઉમેદવાર પાંચ હજાર જેટલા મતો લઈ ગયા હતા જેના કારણે ભાજપનો વિજય થયો હતો.આ પહેલા ૨૦૦૨માં કોંગ્રેસના મનિષ ગીલીટવાલાનો ૧૯૫૨ મતથી ભાજપના ગુલાબદાસ ખસી સામે વિજય થયો હતો.
૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપે વતર્માન ધારાસભ્ય અરવિંદ રાણાને રિપીટ
૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપે વતર્માન ધારાસભ્ય અરવિંદ રાણાને રિપીટ કર્યા છે.પણ તેમનો ભાજપના કાર્યકરોમાં જ ભારે વિરોધ છે.ઉમેદવારમાં ચૂંટણી લડવાનો ઉત્સાહ ન હોય તેવી ફરિયાદો પણ કેટલાક એકટીવ કાર્યકરો કરી રહ્યા છે.આપ તરફથી કંચન જરીવાલાને ચૂંટણી મેદાનમાં ઉતારાયા છે.જ્યારે કોંગ્રેસે એગ્રેસીવ એવા પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાને ચૂંટણીમાં જંગમાં ઉતાર્યા છે. કોંગ્રેસમાં સ્થાનિક વિસ્તારમાં જોકે, તેમનો વિરોધ થયો હતો.પણ કોર્પોરેટર તરીકેના કાર્યકાળમાં તેમણે ભાજપ સામે અનેક મોરચા માંડયા છે. ૨૦૧૭ની ચૂંટણીમાં અહી ભાજપને ૧૩,૩૪૭ મતની લીડ મળી હતી.કોંગ્રેસ લઘુમતી અપક્ષ ઉમેદવારો કે એઆઇએમએમના ઉમેદવારોને સમજાવી કે સમાધાન કરે તો ભાજપ માટે ચઢાણ કપરા બનશે એમ ખુદ ભાજપ વર્તુળોમાં જ ચર્ચા છે.પણ મુસ્લિમ મતદારોનું વિભાજન થાય તો તે ભાજપના ફાયદામાં રહેશે.