સુરત : કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ દિન પેટ્રોલ -ડીઝલના કરાઈ રહેલા ભાવવધારાના વિરોધમાં સુરત શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિએ બુધવારે ચોકબજાર સ્થિત ગાંધી પ્રતિમા પાસે ધરણા-વિરોધ પ્રદર્શન કર્યું હતું.પોલીસે કોંગ્રસના 60થી વધુ કાર્યકર્તા,આગેવાનોની અટક કરી હતી.
કોંગી અગ્રણીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 10 દિવસથી સતત પેટ્રોલ-ડીઝલના દરમાં વધારો કરાઈ રહ્યો છે.આ વધારાના કારણે આમ આદમી પીસાઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમા પ્રતિ લિટરે પેટ્રોલમાં રૂ.5.47 અને ડીઝલમાં રૂ.5.80નો વધારો થઇ ચુક્યો છે.આ મહામારીના સમયમાં પ્રજા આથી મુશ્કેલીમાં છે.ત્યારે આ ભાવવધારો આમજનતા માટે અસહ્ય છે.આ ભાવવધારો સરકારે પાછો ખેંચવો જોઈએ.પાણી કરતા ક્રૂડ સસ્તું છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે.સરકારે 6 વર્ષમાં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ વધારી રૂ.18 લાખ કરોડની કમાણી કરી છે. કોરોનાની મહામારીમાં લોકોના રોજગાર પર ગંભીર અસર થઇ છે ત્યારે સરકાર ભાવ ઘટાડવાના બદલે કમાણી કરી રહી છે.બુધવારે ગાંધી પ્રતિમા પાસે કોંગ્રસ દ્વારા આયોજિત ધરણા-વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.શહેરની અઠવા પોલીસે કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ રાયકા,મનપાના વિપક્ષી નેતા પ્રફુલભાઇ તોગડિયા સહિત 60 થી વધુ કોંગી કાર્યકરતો-અગ્રણીઓની અટકાયત કરી હતી.