સુરત,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર : ભાજપના ભૂતપૂર્વ મહિલા મોરચાના કારોબારી સભ્ય અને તેમના પુત્રએ યાત્રાધામના બહાને સેકંડો લોકોના રૂપિયા ખંખેરી કરી છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સુરતમાં બનવા પામ્યો છે.મહિલા તેના પુત્રએ મથુરા, હરિદ્વાર જેવા ધાર્મિક સ્થાનો પર સસ્તા લઈ જવાનાબહાને લોકો પાસેથી લાખો રૂપિયા લઈ મોબાઈલ ફોન બંધ કરી ગાયબ થઈ જતા ભોગ બનનાર સિનિયર સિટીઝન દ્વારા સુરત રાંદેર પોલીસ અને કમિશ્નરને અરજી આપવામાં આવી છે
સુરત શહેર ભાજપ મહિલા મોરચાના કારોબારી સભ્ય,તેમજ વોર્ડ નંબર 15 કરંજ મગોબના પ્રમુખ રહી ચૂકેલા જયશ્રીબેન લુણાગરીયા હાલ કામરેજ નલસાડ રોડ ખાતે સપના વિલા ઘર નંબર બી 21 મા રહે છે.જયશ્રીબેન અને તેમના પુત્ર અજય લુણાગરીયા દ્વારા યાત્રાધામના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી રફુચક્કર થઈ ગયા હોવાનો મામલો સામે આવ્યો છે.તેઓએ 10,20 નહીં પરંતુ 500 થી 700 લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે.આ છેતરપિંડીનો ભોગ બનનારા લોકો સુરત પોલીસ કમિશનર કચેરીએ અને રાંદેર પોલીસ મથકે પહોંચ્યા હતા અને અરજી આપી રજૂઆત કરી હતી.
ભૂતપૂર્વ મહિલા મોરચા કારોબારી સભ્ય જયશ્રીબેન અને તેના પુત્ર અજય દ્વારા મથુરા,હરિદ્વાર જેવા ધાર્મિક સ્થાનો પર સસ્તા દરે લઈ જવાની વાતો કરી ટુરુ ઊભી કરી હતી.પરંતુ ટૂરના બહાને આ માતા પુત્રએ ચારથી પાંચ લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.તેઓએ આ ટુરના પેમ્પલેટ છપાવી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગ્રુપ ઊભા કર્યા હતા.અને વ્યક્તિ દીઠ 2000 રૂપિયા ટુર પેકેજના નામે ઉઘરાવ્યા હતા.જોકે ટૂરની તારીખ નજીક આવી ગઈ હોવા છતાં કેટલાક લોકોને ટ્રેન ટિકિટ આપી ન હતી તો કેટલાક લોકોને જે ટિકિટ આપી હતી તે ઓરીજનલ ટિકિટ ન હોવાથી તેઓ છેતરાયા હોવાની જાણ થઈ હતી.જેથી આ લોકોએ ટ્રાવેલ સંચાલક માતા પુત્રને સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેઓએ પોતાના મોબાઈલ ફોન બંધ કરી ગાયબ થઈ ગયા છે.
સુરત પોલીસ કમિશનર અને રાંદેર પોલીસ મથકે જહાંગીરપુરા વિસ્તારના લોકો દ્વારા આપેલા આવેદનમાં 500 લોકો ભોગ બન્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.જો કે બીજી તરફ જાણવા મળતી માહિતી મુજબ શહેરના ઉધના વિસ્તારમાં પણ આ માતા પુત્ર દ્વારા ટુરના બહાને 100 લોકોનું ગ્રુપ બનાવ્યું હતું અને તેઓ પાસેથી પહેલા બે બે હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા. અને ત્યારબાદ એક મિટિંગ ગોઠવી ખર્ચો વધુ થતો હોવાનું જણાવી વધારાના હજાર રૂપિયા ઉઘરાવી લોકો પાસેથી 3 હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા અને એક જ 1 જાન્યુઆરી તેમજ 10 જાન્યુઆરીની ટૂર ઉપાડવાની વાતો કરી હતી પરંતુ અહીંના એક પણ વ્યક્તિને ટૂર પર ન લઈ જઈ તેઓને પણ ઓરીજનલ ટિકિટ ન આપી છેતરપિંડી કરી હતી.અને આ વ્યક્તિઓ જ્યારે તેમની ઓફિસ પર રૂપિયા પરત લેવા ગયા ત્યારે રૂપિયા પરત આપવાની વાત તો કરી હતી.પરંતુ ત્યારબાદ ન તો હજી સુધી તેઓએ રૂપિયા પરત આપ્યા છે કે ના તો તેઓ અહીંના કોઈપણ વ્યક્તિને ટુર પર લઈ ગયા છે.જેથી ભોગ બનનાર ઉધના ના અન્ય 100 લોકો પણ આ મહિલા પુત્ર સામે ફરિયાદ કરવાની તૈયારીમાં છે.ત્યારે હવે આ મામલે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પણ આ માતા પુત્ર દ્વારા અનેક લોકો સાથે યાત્રાધામના બહાને છેતરપિંડી કરી હોવાની વાત બહાર આવે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.