સુરત : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે.ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી માટે સેન્સની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.સેન્સની પ્રક્રિયા પછી નિરીક્ષકો હાઈકમાંડ સામે ચર્ચા કરશે ત્યારબાદ ઉમેદવારના નામ પર મહોર લાગશે.ત્યારે સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં સેન્સની પહેલા દિવસની પ્રક્રિયામાં 16 વોર્ડ માટે 1041 દાવેદારોની નિરીક્ષકોએ સાંભળ્યા હતા.ત્યારે ભાજપના નવા સંગઠનમાં સુરત શહેર મહામંત્રી બનેલા લલિત વેકરીયાએ ચૂંટણી લડવા માટે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.ભાજપની એક વ્યક્તિને એક જ હોદ્દાની નીતિને લઇને લલિત વેકરીયાએ રાજીનામું આપ્યું છે.આ વાત લલિત વેકરીયાએ તેના લેટરપેડ પણ કરી છે.
સુરત ભાજપ મહામંત્રી લલિત વેકરીયાએ સુરત ભાજપ પ્રમુખને પોતાના લેટર પેડ પર રાજીનામું આપ્યું હતું.લલિત વેકરીયાએ પોતાના રાજીનામાં લખ્યું છે કે,પાર્ટીની ગાઈડલાઈન મુજબ એક વ્યક્તિને એક જ હોદ્દાને અનુસરવા આજ રોજ હું શહેર મહામંત્રી તરીકે રાજીનામું આપું છું અને વોર્ડ નંબર-9માં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાની ઈચ્છા રાખું છું.લલિત વેકરીયાએ ચૂંટણી લડવા માટે શહેર મહામંત્રીના પદ પરથી રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે.
આ બાબતે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે,પ્રદેશ ભાજપ અધ્યક્ષની અપીલને લલિત વેકરીયાએ અમલમાં મૂકી છે.તેઓ ગુજરાતમાં પ્રથાન એક સક્રિય કાર્યકર્તા છે કે ,તેમણે આ નિર્ણય કર્યો છે.અમે તેમનું રાજીનામું પણ સ્વીકાર્યું છે.
મહત્ત્વની વાત છે કે, સી.આર. પાટીલ વડોદરાના પ્રવાસે હતા ત્યારે તેમને નિવેદન કર્યું હતું કે,ભાજપના સંગઠનમાં હવે પ્રતીઘર દીઠ એક જ હોદ્દો મળશે.આ ઉપરાંત સંગઠનનો જે હોદ્દો ધરાવતા હશે તેમને પક્ષ તરફથી ટિકિટ મળશે નહીં.પાટીલના આ નિવેદન પછી ટિકિટ મેળવવા ઇચ્છતા ભાજપના હોદ્દેદારોના સપનાઓ પર પાણી ફરી વળ્યું હતું.સુરતમાં પણ એક કાર્યક્રમમાં સી.આર. પાટીલે 55 વર્ષથી વધારે ઉંમરના લોકોને ટિકિટ માટે અરજી ન કરવા માટે અપીલ કરી હતી.પરંતુ સુરતમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન 55 વર્ષથી વધારે ઉંમરના લોકો પણ પોતાની કિસ્મત અજમાવવા માટે ફાઈલ લઇને ઉપસ્થિત થયા હતા.મહત્ત્વનું છે કે, સેન્સ પ્રક્રિયામાં સૌથી વધારે દાવેદારો સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 ડભોલી-સીંગણપોર, વોર્ડ નંબર 13 વાડીફળિયા-નવાપુરા અને બેગમપુરા-સલાબતપુરા વોર્ડમાંથી સામે આવ્યા છે.આ ઉપરાંત સૌથી ઓછા દાવેદારો વોર્ડ નંબર 4 કાપોદ્રામાંથી સામે આવ્યા હતા.