– ક્રાઇમ બ્રાંચની અરજી પર સુનાવણી પુર્ણ, ચુકાદો 8 ઓગસ્ટ સુધી મુલતવી : ગુનાઇત ફોર્જરીની કલમો ઉમેરવા ચીફ કોર્ટે મંજુરી આપી હતી
– તરસાડી ન.પા.ના પૂર્વ પ્રમુખ રાકેશસિંહ સોલંકી સહિત ત્રણેય આરોપી જામીનમુક્ત થયેલા છે
સુરત : ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત અન્ય ભાજપના નેતાઓ વિરુધ્ધ આપત્તિ જનક પત્રિકા તથા પેનડ્રાઈવ મોકલવાના ષડયંત્રમાં સામેલ ત્રણ આરોપીઓ અગાઉ જામીન પાત્ર ગુનામાં શરતી જામીન મુક્ત થતાં ક્રાઈમ બ્રાંચે ગુનાઈત ફોર્જરી સહિત અન્ય ગુનાની કલમનો ઉમેરો કરવા માંગ કરી હતી.જેને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ પી.બી.પટેલે ગત શનિવારે મંજુરીની મહોર મારતાં જામીન મુક્ત આરોપીઓના જામીન રદ કરવા ક્રાઈમબ્રાંચે કરેલી માંગને આજે સુનાવણી થતાં કોર્ટે સંભવિત ચુકાદો આવતી કાલે તા.8મી ઓગષ્ટ સુધી મુલત્વી રાખ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ તથા ધારા સભ્ય સંગીતાબેન પાટીલ,સંદિપ દેસાઈ સહિતના અન્ય નેતાઓ વિરુધ્ધ સોશ્યલ મીડીયામાં આપત્તિજનક વીડીયો અપલોડ કરવા તથા પત્રિકા તથા પેનડ્રાઈવ ફરતી કરવાના ષડયંત્રમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.સુરત ક્રાઈમ બ્રાંચે અગાઉ જામીનપાત્ર ગુનાની કલમો હેઠળ તરસાડી નગર પાલિકાના પુર્વ પ્રમુખ રાકેશસિંહ સોલંકી,ખુમાનસિંહ પટેલ તથા દિપુ ઉર્ફે સોનુ યાદવની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.જો કે આરોપીઓ વિરુધ્ધના ગુનાની તમામ કલમો બેલેબલ હોઈ કોર્ટે આરોપીઓના બચાવપક્ષની રજુઆતોને મંજુર કરીને રિમાન્ડની માંગ રદ કરી આરોપીઓને જામીન મુક્ત કરતો હુકમ કર્યો હતો.
અલબત્ત સુરત ક્રાઈમ બ્રાંચે ગુનાની વધુ તપાસ દરમિયાન સુરત ભાજપના એક કોર્પોરેટરની બોગસ સહી ઉપરોક્ત પત્રિકામાં કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતુ.જેથી સુરત ક્રાઈમ બ્રાંચના તપાસ અધિકારીએ આ કેસમાં જામીનમુક્ત ત્રણેય આરોપીઓ વિરુધ્ધ ઈપીકો-465,467 તથા 468નો ઉમેરો કરવા કોર્ટમાં અરજી કરી હતી.ગત્ શનિવારે સરકારપક્ષે એપીપી એસ.આર.ધાકરેની રજૂઆતોને માન્ય રાખીને કોર્ટે આરોપીઓ વિરુધ્ધ ગુનાઈત ફોર્જરી સહિતની કલમો ઉમેરવાની માંગ પર મંજુરીની મહોર મારી હતી.જેથી તપાસ અધિકારીએ હાલમાં આ કેસમાં જામીન મુક્ત આરોપીઓ વિરુધ્ધ અગાઉ જામીન પાત્ર કલમોના ગુનામાં શરતી જામીન મુક્ત કરવામાં આવ્યા હોઈ તેમના બેલ કેન્લેશનની માંગ કરી હતી.આજે સરકારપક્ષની જામીન રદ કરવાની માંગની સુનાવણી પુરી થતાં કોર્ટે સંભવિત ચુકાદો આવતી કાલે તા.8મી ઓગષ્ટ સુધી મુલત્વી રાખ્યો છે.