સુરત : ભીમરાડના માર્વેલા બિલ્ડર ગ્રુપ પર સીજીએસટીની ટીમ દ્વારા કરાયેલા દરોડામાં ઢગલાબંધ ડોક્યુમેન્ટ જપ્ત કરાયા છે.જેમાં બે કરોડથી વધુની કરચોરીની વાત સપાટી પર આવી છે.ડેવલપ થતા વિસ્તારમાં અનેક લોકો અને ખેડૂતોએ જમીન વેચ્યા બાદ પણ ટેક્સ ભર્યો ન હોવાનું અધિકારીઓના ધ્યાને આવ્યું છે.જેથી આગામી સમયમાં જમીન વેચનારાઓ પણ ટેક્સ જાળમાં આવી શકે છે.
સીજીએસટીની ટીમ દ્વારા 145 ફ્લેટનો મસમોટો પ્રોજેક્ટ હાથ ધરનારા બિલ્ડરોને ત્યાં તપાસ હાથ ધરી હતી.બિલ્ડર 5 ટકાની જગ્યાએ 1 ટકા ટેક્સ ભરીને છટકી જતા હતા.બિલ્ડર દ્વારા જો ફ્લેટની કિંમત 45 લાખથી ઓછી હોય તો 1 ટકા ટેક્સ ભરવાનો રહેતો હોય છે અને તેનાથી વધુ કિંમત હોય તો 5 ટકા ટેક્સ ભરવાનો રહેતો હોય છે. આ કેસમાં ફ્લેટની કિંમત 45 લાખથી વધુ હોવા છતાં 1 ટકા જ ટેક્સ ભરાતો હતો.ખરેખર 5 ટકા ટેક્સ ભરાવો જોઇતો હતો.તપાસમાં ઑફિસથી ડાયરીઓ સહિતના વ્યવહાર મળી આવ્યા હતા જેમાં પેમેન્ટનો ઉલ્લેખ હતો.
કેટલાક ગ્રાહકોના પણ સ્ટેટમેન્ટ લેવાઈ શકે
સમગ્ર કાંડમાં અધિકારીઓ કેસ મજબૂત બનાવવા માટે ફ્લેટ લેનારા લોકોમાં કેટલાકના નિવેદન લઈ શકે છે.જેથી જાણવા મળશે કે બ્લેકમાં કેટલા ચૂકવીને ફ્લેટ લીધો છે.