સુરત : તા.13 જુન 2022,સોમવાર : સુરત મહાનગર પાલિકાના ર્ડા.શ્યામાપ્રસાદ મુર્ખજી ઝુલોજીકલ નેચરપાર્ક પ્રાણીસંગ્રહાલય માં સિંહણ વસુધાને પ્રસવ પીડા થતા રાત્રિના ૧૧-૩૦ કલાક દરમ્યાન ત્રણ બચ્ચાઓને જન્મ આપ્યો હતો.આ વસુધા સિંહણને નર આર્ય સાથે તા.૦૭/૧૧/૨૦૨૦ ના રોજ જંગલ સફારી,નયા રાયપુર ઝુ માંથી નેચરપાર્ક ખાતેથી લાવવામાં આવી હતી.નેચરપાર્કના પશુ તબીબી અધિકારી અને ઈ.ચા.ઝુ સુપ્રિન્ટેન્ડન્ટ અને અન્ય સુપરવાઈઝરી સ્ટાફ દ્વારા સિંહણ વસુધા અને તેના ત્રણ બચ્ચાઓનું CCTV કેમેરાની મદદથી ઘનિષ્ઠ મોનીટરીંગ દેખરેખ કરવામાં આવી રહી છે.
આઠ વર્ષની ઉંમર ધરાવતી વસુધા સિંહણની આખી પ્રસુતિ પ્રક્રિયા ૦૮ કલાક સુધી ચાલી હતી.જેનું નેચરપાર્કના અધિકારીઓ-કર્મચારીઓએ CCTV કેમેરા દ્વારા મોનીટરીંગ કરવામાં આવ્યુ હતું.ઝુ ના પશુ તબીબી અધિકારી દ્વારા નવા જન્મેલ બચ્ચાઓ પ્રતિ સિંહણ કઈ રીતનું વર્તન અપનાવે છે તેનું સતત દેખરેખ રાખી રહેલ છે.આ વસુધા સિંહણની દેખરેખ જ બચ્ચાઓના ભવિષ્યની તંદુરસ્તી અને જીવનકાળ નકકી કરશે.હાલ તમામ બચ્ચાને માદા સહિત CCTV કેમેરાની સતત દેખરેખ હેઠળ રાખવામાં આવી છે.તમામ બચ્ચાઓનો વિકાસ સામાન્ય છે.તમામ બચ્ચાઓનું ત્રણ માસે વેકસીનેશન થયા બાદ જાહેર જનતાના પ્રદર્શન માટે ખુલ્લા મુકવામા આવશે.જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.