સુરત, તા. 30 માર્ચ 2020, સોમવાર
સુરત મહાનગરપાલિકા દ્વારા વિદેશથી આવેલા સંદિગ્ધ નાગરિકોની જે યાદી બહાર પાડી છે. તેમાં ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવાના દીકરાનું પણ નામ હોવાથી આ બેદરકારી બદલ કાર્યવાહી કરવા કોંગ્રેસે માગ કરી છે.
સુરત જિલ્લા અને શહેરમાં કોરોના વાઇરસનું સંક્રમણ રોકવા જિલ્લાના કલેક્ટરશ્રી અને સુરત મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીઓ અને તેઓની ટીમની કામગીરી સરાહનીય છે.
આ કામગીરીમાં લોકો, સ્થાનિક રાજકીય આગેવાન, રાજકીય પાર્ટીના નેતાઓ તેમજ સરકારના મંત્રીશ્રીઓને સહકાર મળી રહે તો ચોક્કસ પણે વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ સામેની લડાઇ જીતીશું. આ અંગે કોંગ્રેસ દ્વારા એવું રજૂઆત થાય છે કે આજરોજ સુરત મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીએ સમાચાર પત્રોમાં વિદેશથી આવેલા તેઓ સંદિગ્ધ COVID-19ના વાહકો હોય શકે છે અને તેઓ સેલ્ફ ડેક્લેરેશનથી આજદીન સુધી જાણ કરેલ નથી. એવા લોકોની એક યાદી પ્રસિધ્ધ કરેલ છે.
આ તમામ લોકો વિદેશથી આવી આજદિન સુધી કેટલી જગ્યાએ ગયા હશે અને કોને – કોને મળ્યા હશે તે પણ ડિક્લેર કરેલ નથી. તેમાં 45 નંબર પર પ્રદ્યુમન ગણપતસિંહ વસાવા નામ છે. પ્રદ્યુમન વસાવા ગુજરાત સરકારના મંત્રીશ્રી ગણપત વસાવાના પુત્ર છે તેઓ અમેરીકાથી આવેલ હોય, પ્રદ્યુમન વસાવા તેઓના ઘરે ગયા હોય તો રાજ્યના મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ પોતાની નૈતિક જવાબદારી સમજી પુત્રની જાણકારી સુરત મહાનગરપાલિકાને આપવાની હોય અને સરકારી તંત્રને સહકાર પુરો પાડાવાને બદલે સમગ્ર કિસ્સાને સગેવગે કરી દીધો.
પ્રદ્યુમન વસાવા પોતાના ઘરે ગયા બાદ ઘરના સભ્યોની સાથે આટલો સમય વિતાવ્યો છે જેથી મારી આપશ્રીને વિનંતી છે કે આપશ્રી તાત્કાલિક અસરે પ્રદ્યુમન વસાવા અમેરીકાથી આવ્યા બાદ કોને – કોને મળ્યા તેવા તમામ લોકોને અને મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાને પણ 14 દિવસ માટે હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવું જોઇએ. પ્રદ્યુમન વસાવાએ બેદરકારી દાખેલ છે જેથી તેઓ પર કાયદેસરના પગલા ભરશો.