સુરત શહેરમાં શંકાસ્પદ કોરોના વાઇરસમા મહિલાનું સારવાર દરમિયાન સ્મીમેર હોસ્પિટલમા મોતને ભેટી હતી. જ્યારે શંકાસ્પદ કોરોનામાં આજે વધુ 13 દર્દી ઝપેટમાં આવતા વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ચાર દર્દીના રિપોર્ટ નેગેટિવ પણ આવ્યા છે.
વધુ 13 દર્દીઓ ઝપેટમાં આવ્યા
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ વરાછાના અશ્વનિકુમાર રોડ પર રહેતી 40 વર્ષીય મહિલાને ગઇ કાલે કોરોના લક્ષણો દેખાતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું. જોકે, આજે બપોર સુધી કોરોના અંગેનો તેનો રિપોર્ટ આવ્યો નહી હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. તદઉપરાંત સુરત શહેરમાં શંકાસ્પદ કોરોના વાઈરસનો કહેર યથાવત રહેતા આજે વધુ 13 દર્દીઓ ઝપેટમાં આવ્યા છે.
હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા
આ દર્દીઓમાં વેસુનો તરુણ, ફુલપાડાની મહિલા, છાપરાભાઠાના વૃદ્ધ, પુણા ગામનો યુવાન, પાલના વૃદ્ધા, પાલના વૃદ્ધ, દિલ્હી ગેટની મહિલા, ઇચ્છાનાથનો યુવાન, અડાજણનો વૃદ્ધ, સીટી લાઈટની મહિલા, નવસારી બજારનો બાળક અને મહીઘરપુરાના યુવાનને નવી સિવિલ અને સ્મીમેર તથા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે.
4 વ્યક્તિના કોરોના રિપોર્ટ નેગેટિવ
જ્યારે ચાર વ્યક્તિના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અત્યાર સુધીમાં સુરત શહેરમાં શંકાસ્પદ કોરોનામા ઝપેટમાં આવેલા 147 દર્દી પૈકી 10 પોઝિટિવ આવ્યા અને એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 122 નેગેટિવ આવ્યા અને 15 રિપોર્ટ પેન્ડિંગ છે જ્યારે સુરત જિલ્લામાં બેદર્દી અને સુરત શહેરના 10 દર્દી મળી કુલ 12 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.