પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી-2021 માં ટીએમસીનો વિજય થયો છે.જો કે સીએમ મમતા બેનર્જી બંગાળ ચૂંટણીની સૌથી હાઇપ્રોફાઇલ બેઠક નંદીગ્રામથી હારી ગયા.ટીએમસી છોડીને ભાજપમાં જોડાયેલા નેતા સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં જીત મેળવી છે.
મમતા બેનર્જીએ રવિવારનાં રોજ મીડિયા સાથે વાત કરતાં નંદીગ્રામમાં પોતાની હાર સ્વીકારી લીધી છે.પરંતુ મમતા બેનર્જીની હાર પર ટીએમસીનાં કાર્યકરો અને સમર્થકો ગુસ્સે થઇ ગયા છે.તેઓ હજુ પણ આ વાતને સ્વીકારી શક્યા નથી કે મમતા બેનર્જી નંદીગ્રામથી હારી ગયા છે.ભારતીય જનતા પાર્ટીનાં નેતા સુવેન્દુની કાર પર હલ્દિયામાં હુમલો કરાયો હતો.ટીએમસી કાર્યકરો અને સમર્થકો પર સુવેન્દુ અધિકારીઓનાં કાફલા પર હુમલો કરવાનો આરોપ મૂકાયો છે.સુવેન્દુ અધિકારીનાં કાફલા ઉપરાંત મીડિયાનાં વાહનો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો.ઘટના બાદ રેપિડ એક્શન ફોર્સ અને ક્યૂઆરટીની ટીમે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.આ હુમલા પછી સુવેન્દુ અધિકારીએ કહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં આતંકનું વાતાવરણ બનાવી રહી છે અને આ તે ઇચ્છે પણ છે.હલ્દિયામાં આજે ટીએમસીનાં લોકોએ મારી કાર ઉપર પત્થર ફેંકી કારનાં કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો.હવે તમે જ વિચારો કે જ્યારે કોઈ જન પ્રતિનિધિને આવી ઘટનાઓનો સામનો કરવો પડે છે ત્યારે સામાન્ય લોકોની શું હાલત છે? બંગાળમાં સામાન્ય લોકો માટે કેટલું રક્ષણ છે, આ મોટો પ્રશ્ન છે?
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર સુવેન્દુ અધિકારીનાં કાફલા પર હુમલો તેમના ટ્વિટ પછી તુરંત જ થયો હતો.સુવેન્દુ અધિકારીએ ટ્વીટ કરી નંદીગ્રામની જીત બદલ લોકોનો આભાર માન્યો હતો.આ ટ્વિટ પછી ટૂંક સમયમાં જ તેમની કાર પર હલ્દિયામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો.સુવેન્દુ અધિકારીએ ટ્વિટ કર્યું, ‘મને પ્રેમ,વિશ્વાસ,આશીર્વાદ અને ટેકો આપવા બદલ નંદીગ્રામનાં લોકોનો ખૂબ આભાર.નંદીગ્રામથી મને તેમનો પ્રતિનિધિ અને ધારાસભ્ય તરીકે પસંદ કરવા બદલ તમારો આભાર.તમારું કલ્યાણ થાય હો, હું ખરેખર તમારો આભારી છું.”