ન્યુ દિલ્હી,તા.૨૧
લશ્કરના વડા જનરલ એમ. એમ. નરવણેએ જણાવ્યું હતું કે ભારતીય સૈન્યમાં ધર્મ, જાતિ, સંપ્રદાયના આધારે કે લૈંગિક ભેદભાવ નથી રખાતો. સર્વોચ્ચ અદાલતે લશ્કરમાં મહિલાઓને પરમૅનન્ટ કમિશન માટે આપેલી બહાલીથી સંબંધિત મુદ્દે વધુ સ્પષ્ટતા થઇ છે અને મહિલાઓ માટે લશ્કરમાં આગળ વધવાનો માર્ગ મોકળો થયો છે.
તેમણે દાવો કર્યો હતો કે જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદને લગતી ઘટના અને સરહદ પારથી ઘૂસણખોરી ઘણી ઘટી છે.
લશ્કરના વડાએ જણાવ્યું હતું કે ભારતીય લશ્કરમાં ૧૯૯૩થી મહિલાઓને અધિકારી તરીકે રાખવાની શરૂઆત થઇ હતી. કૉર્પ્સ ઑફ મિલિટરી પોલીસ સેન્ટર એન્ડ સ્કૂલ ખાતે હાલમાં ૧૦૦ મહિલા સૈનિક તરીકે તાલીમ લઇ રહી છે.
તેમણે જણાવ્યું હતું કે ભારતીય લશ્કર જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદી સંગઠનો પર ભારે દબાણ લાવી રહ્યું છે અને તેઓના ષડયંત્રને નિષ્ફળ બનાવી રહ્યું છે.
જનરલ એમ. એમ. નરવણેએ જણાવ્યું હતું કે ચીન પણ હવે સમજી ગયું લાગે છે તે પોતાના કાયમી મિત્ર દેશ પાકિસ્તાનને હંમેશાં ટેકો આપી નહિ શકે.
સૈન્યમાં મહિલાઓ સાથે ભેદભાવ નથી રખાતો : લશ્કર વડા નરવણે
Leave a Comment