મુંબઈ : મીરા રોડની એક કો-ઑપરેટિવ બૅન્કમાં આશરે ૩૬ ગ્રાહકોએ ગિરવી રાખેલા સોનાના દાગીના છોડાવવા માટેનું પેમેન્ટ કર્યું નહોતું એ જોઈને બૅન્કે તમામ દાગીના ઑક્શન કરીને વેચવા માટે કાઢ્યા હતા. એ દરમ્યાન આશરે ૩૬૨ તોલા સોનું નકલી હોવાની માહિતી બૅન્કને મળી હતી.એના પર ૩૬ લોકોએ ૮૮.૫૯ લાખ રૂપિયાની લોન લીધી હતી.આ ઘટના પ્રકાશમાં આવતાં બૅન્ક દ્વારા નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મીરા રોડ-ઈસ્ટના રામદેવ પાર્કમાં આવેલી હિદુસ્તાન કો-ઑપરેટિવ બૅન્કના મૅનેજર પ્રશાંત અંબરેએ કરેલી ફરિયાદ અનુસાર ૨૦૧૭થી ૨૦૧૯ દરમ્યાન બૅન્ક તરફથી સોનું ચેક કરવા માટે વૅલ્યુઅર હરીશકુમાર જૈનને રાખવામાં આવ્યા હતા.એ દરમ્યાન સોના પર લોન લેનારા આશરે ૩૬ લોકોએ લીધેલી લોનનું પેમેન્ટ બૅન્કમાં પાછું કર્યું નહોતું.લોન લેનારી વ્યક્તિઓને બૅન્ક તરફથી લોન ભરવા માટે વારંવાર ચેતવણી આપવામાં હોવા છતાં તેમના તરફથી કોઈ પ્રતિસાદ ન મળતાં ૨૦૨૨ની પહેલી જૂને બૅન્કે તમામ ગિરવી રાખેલું સોનું ઑક્શન કરીને વેચવા માટે કાઢ્યું હતું.
ત્યારે બૅન્કના બીજા વૅલ્યુઅરે લોન ખાતું-નંબર ૧૭૨માં રાખેલી એક ચેઇનની તપાસણી કરતાં એ ખોટી હોવાની જાણ થઈ હતી.એ પછી અન્ય ખાતાંઓમાં રાખેલું સોનું તપાસતાં આશરે ૪૨૨૬ ગ્રામ સોનું ખોટું મળી આવ્યું હતું,જેની સામે ૩૬ ગ્રાહકોએ ૮૮.૫૯ લાખ રૂપિયાની લોન લીધી હતી.વધુ તપાસ કરતાં બૅન્કને જાણ થઈ હતી કે આ તમામ સોનું વૅલ્યુઅર હરીશકુમાર જૈને બૅન્કને સાચું હોવાની માહિતી આપતાં બૅન્કે લોન આપી હતી.એ પછી બૅન્ક દ્વારા લોન લેનાર ૩૬ લોકો અને વૅલ્યુઅર સામે નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.નવઘર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના સંબંધી અમે છેતરપિંડીનો ગુનો રજિસ્ટર કરીને તપાસ શરૂ કરી છે.અત્યાર સુધીમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.’