અમરેલી : રાજ્યમાં કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે.મહાનગરો સિવાય નાના શહેરોમાં પણ કોરોનાએ તાંડવ કરવાનું શરૂ કર્યું છે.આ દરમિયાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમા રાખી વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મોટું નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું, અમરેલી જિલ્લામાં એક પણ ઓક્સિજન પ્લાન્ટ નથી.ખાનગી હોસ્પિટલોમાં માત્ર 1 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન ઉપલબ્ધ છે.અમરેલી જીલ્લો ઓક્સિજન માટે રાજકોટ અને ભાવનગર પર નિર્ભર છે.છેલ્લા 3 દિવસ થી રાજકોટ અને ભાવનગર ઓક્સિજન નથી આપતું.જો સમયસર ઓક્સિજન નહી મળે તો લાશોના ઢગલા થશે.મુખ્યમંત્રી સહિતના નેતાઓને પત્ર અને ટેલિફોનથી પરિસ્થિતિની જાણ કરી છે.આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે, અમરેલી જીલ્લાના લોકો ભગવાન ભરોસે છે. ફેબીફ્લુ,રેમડેસિવિરની પણ અછત છે.ઓક્સિજન સિલિન્ડર,ઓક્સીફ્લો મિટર,ઓક્સિપલ્સ મિટર જેવી સર્જીકલ સામગ્રી ના અભાવે સેવાભાવી સંસ્થાઓ પણ લાચાર છે.
લાઠી-બાબરાના ધારાસભ્યએ 30 લાખની ગ્રાંટ ફાળવી
અમરેલીમાં કોરોનાના વધતા કહેર વચ્ચે લાઠી-બાબરાના ધારાસભ્ય વિરજી ઠુંમરે પોતાના ફંડમાંથી 30 લાખની રકમ ફાળવી છે.લાઠી-બાબરા અને દામનગરમાં મેડિકલ સાધનોની ખરીદી માટે ફંડની ફાળવણી કરી છે.વેન્ટિલેટર મશીન,ઓક્સિજન સહિતની સાધન સામગ્રી ખરીદવા ગ્રાંટ ફાળવી છે.
ગુજરાતમાં શું છે ચિત્ર
શુક્રવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 13,804 કેસ નોંધાયા હતા અને 142 લોકોના મોત થયા હતા.ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક મૃત્યુઆંક 6019 પર પહોંચ્યો છે.રાજ્યમાં આજે 5618 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.અત્યાર સુધી 3,61,493 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 100128 પર પહોંચ્યો છે.જેમાંથી 384 લોકો વેન્ટિલેટર પર અને 99744 લોકો સ્ટેબલ છે.રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.30 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 92,15,310 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 17,86,321 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.આમ કુલ 1,10,01,631 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.