– સૌરાષ્ટ્રથી આવતા લોકોને સુરતમાં પણ ખૂબ પ્રયાસ કર્યા બાદ સુવિધા મળે છે
સુરત : સમગ્ર રાજ્યની કોરોના સ્થિતિ વધુને વધુ કથળી રહી છે.સૌરાષ્ટ્રમાં સ્થિતિ ખૂબ ગંભીર થઈ છે લોકોને ઓક્સિજન અને અન્ય સારવાર ન મળતાં સુરત તરફ પ્રયાણ કરી રહ્યા છે.વીસ હજાર રૂપિયાના ખર્ચે સાવરકુંડલાથી એમ્બ્યુલન્સ કરીને પરિવારના કોરોના સંક્રિમતને સુરત સારવાર માટે લઈને પહોંચી રહ્યા છે.કોરોનાની પહેલી લહેરમાં સુરતીલાલાઓ સૌરાષ્ટ્ર દોડ્યા હતા પણ બીજી લહેરમાં લોકો હવે સુરત તરફ સારવાર માટે દોડી રહ્યા છે.
સમગ્ર રાજ્યમાં મેડીકલ સેવાઓ કથળી રહી છે.દર્દીઓને સારવાર મળવી પણ મુશ્કેલ થઇ રહી છે.વિશેષ કરીને સૌરાષ્ટ્ર થી સુરત તરફ લોકો સારવાર માટે આવી રહ્યા છે.સાવરકુંડલા જિલ્લામાં ઓક્સિજન ની વ્યવસ્થા ન થતા સુરત સારવાર માટે કેટલાક દર્દીઓ પહોંચ્યા હતા.માત્ર સાવરકુંડલા જિલ્લાની જ હાલત મુશ્કેલી નથી પરંતુ સૌરાષ્ટ્રમાં ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાંથી સુરત તરફ લોકો સારવાર લેવા માટે આવી રહ્યા છે.
શૈલેષ ચોડવડીયાએ જણાવ્યું કે, સુરતમાં વેપાર કરું છું અને મારા માતા-પિતા સાવરકુંડલા જિલ્લામાં રહે છે.મારા માતા-પિતા કોરોના સંક્રમિત હતા.તેમને સાવરકુંડલામાં સારવાર માટે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને દવાખાનામાં ઓક્સિજનની વ્યવસ્થા ન થતા સુરત સારવાર માટે લઇ આવ્યો છું. અમારા માતા-પિતાની તબિયત એકાએક કથળતા ઓક્સિજન લેવલ ખૂબ જ નીચે આવી ગયો હતો.ત્યારે વીસ હજાર રૂપિયાના ખર્ચે સાવરકુંડલાથી એમ્બ્યુલન્સ કરીને હું મારા માતા-પિતાને સુરત સારવાર માટે લઈને આવ્યો છું.સુરતમાં પણ ખૂબ પ્રયાસ કર્યા બાદ ખાનગી હોસ્પિટલમાં બેડ મળતાં મારા માતા-પિતાની સારવાર ખાનગી હોસ્પિટલમાં શરૂ કરી છે.
સૌરાષ્ટ્રની સ્થિતિ ખૂબ જ વકરી રહી છે.સુરતમાં વેપાર ધંધા કરતા સૌરાષ્ટ્રવાસીઓ પોતાના માતા-પિતા અને સ્વજનોને કોરોના સંક્રમિત થયા હોય તો સારવાર માટે સુરત લાવવા પ્રયાસ કરી રહ્યા છે.પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેરમાં ઓક્સિજનની સ્થિતિ ખૂબ જ વિકટ બને છે. સૌથી વધુ ચર્ચા માત્ર મહાનગરપાલિકાની થઈ રહી છે.ગામડાની સ્થિતિ વધુને વધુ વિકટ થવા જઈ રહી છે.પરંતુ તેના ઉપર યોગ્ય રીતે ધ્યાન આપી રહ્યો નથી.ગામડાના લોકોને મોટા પ્રમાણમાં ઓક્સિજનની વ્યવસ્થા નથી થઈ રહી છે તેમજ બેડ પણ ઉપલબ્ધ નથી થઈ રહ્યા.તેના કારણે ગામડાઓમાં લોકો ભયના ઓથાર હેઠળ છે.


