રાજ્યમાં દિવસે દિવસે સ્કૂલ ફી વિવાદનો મુદ્દો જોર પકડતો જાય છે.આ મામલે વાલીઓ અને શાળા સંચાલકો સામસામે છે.આવા માહોલમાં શાળાના સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કર્યું છે. 25% ફી માફીનો શાળા સંચાલકો વિરોધ કરી રહ્યા છે.આ અરજી પર હવે શુક્રવારે હાઈકોર્ટ સુનાવણી કરશે.
સ્કૂલ ફી વિવાદ મુદ્દે શાળા સંચાલકોએ સરકારની સમાધાનની ફોર્મ્યુલા સ્વીકારી ન હોવાનું આ સોગંદનામું છે. FRCની મંજૂર ફીની રકમનો વધારો જતો કરવા માટે સંચાલકો તૈયાર થયા છે.આ ઉપરાંત ગત વર્ષની ફી યથાવત રાખી 5થી 12 ટકા રાહત આપવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સિવાય વિદ્યાર્થીઓના કેસ ટુ કેસ બેઝ પર ફી માફીની પણ તૈયારી દર્શાવી છે.ફી રેગ્યુલેટરી કમિટીએ મંજૂર કરેલી ફી પ્રમાણે શાળા સંચાલકોની 5થી 12 ટકાનો ફી વધારે લઈ શકે છે. પણ શાળા સંચાલકો આ વધારો જતો કરવા માટે તૈયાર થયા છે.આ ઉપરાંત સંચાલકોનો મત એવો છે કે,તેઓ ગત વર્ષની ફી યથાવત રાખવા માગે છે. શાળા સંચાલકોએ એવી તૈયારી દર્શાવી છે કે,જે વિદ્યાર્થીઓના વાલીઓ ફી ભરી શકે એમ નથી તો કેસ ટુ કેસ બેઝ પર 10થી 100 ટકા સુધીની ફી માફ કરવા માટે તૈયારીઓ દર્શાવી છે. ફિક્સ ટકાવારી પર ફી ઘટાડવાની સરકારની સમાધાનની વાત શાળા સંચાલકોના ગળે ઊતરી નથી.
દિવસે દિવસે રાજ્યભરમાં ફી વિવાદ વકરી રહ્યો છે.સરકારી ફોર્મ્યુલા શાળા સંચાલકોએ ન સ્વીકાર્ય હોવાનો દાવો કર્યો છે.રાજકોટમાં સમયાંતરે ફી ભરવા માટે વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે.આ મુદ્દે સતત વિવાદમાં રહેલી મોદી સ્કૂલ સામે બુધવારે વાલીઓએ મોરચો ખોલ્યો હતો.લેખિતમાં શાળા સંચાલકોને રજૂઆત કરીને ફી મુદ્દે યોગ્ય નિર્ણય કરવા માટે અપીલ કરી હતી.જોકે,આ આંદોલનમાં NSUIનો સાથ મળતા આ સંગઠને પણ ફી મુદ્દે નીવેડા લાવવા માટે દબાણ કર્યું હતું.
આ સાથે જો ઉકેલ નહીં આવે તો જનઆંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.જ્યારથી ઓનલાઈન શિક્ષણ શરૂ થયું ત્યારથી 100% ફી ને લઈને શાળાઓ વાલીઓ પર દબાણ કરી રહી છે.જ્યારે વાલીઓ કહે છે કે,શાળા ચાલું નથી તો ફીમાં થોડી રાહત આપવામાં આવે.