અમદાવાદ,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવાર : વૈશ્વિક કોમોડિટી બજારમાં સ્ટીલના ભાવમાં તાજેતરના તીવ્ર ઘટાડા અને સ્થાનિક પુરવઠામાં વધારાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર સ્ટીલ પ્રોડકટો પર લાગુ થતી નિકાસ જકાતને અડધી અથવા સંપૂર્ણ રીતે ઘટાડી શકે છે.મીડિયા અહેવાલ અનુસાર સ્ટીલ મંત્રાલયે તમામ ઉદ્યોગ પ્રતિનિધિઓ પાસેથી તેમના મંતવ્યો લીધા બાદ નાણાં મંત્રાલય સાથે આ મુદ્દે ચર્ચા કરી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર 22 મેના રોજ સ્ટીલની નિકાસ પર લાગુ 15 ટકા નિકાસ ડ્યૂટીને અડધી કરી શકાય છે અથવા તો આ મહિનાના અંત સુધીમાં તેને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે.
સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના નિણાંતોએ જણાવ્યું કે સ્ટીલની નિકાસ પર લાદવામાં આવેલી ડ્યૂટીને કારણે સ્થાનિક ઉત્પાદકો પર નકારાત્મક અસર પડી રહી છે જેના કારણે તેમના મૂડી ખર્ચ યોજનામાં ફેરફાર પણ કરવાની ફરજ પડી શકે છે.તાજેતરમાં જ જેએસડબ્લ્યુ સ્ટીલે વર્તમાન નાણાંકીય વર્ષમાં તેના મૂડી રોકાણ પ્લાનમાં રૂ. 5000 કરોડનો ઘટાડો કરીને રૂ. 15,000 કરોડનો અંદાજ મૂક્યો છે. બીજી તરફ ટાટા સ્ટીલે હજુ સુધી તેના મૂડી ખર્ચ પ્લાનમાં કોઈ ફેરફાર કર્યો નથી.


