અમદાવાદ : સ્માર્ટ સિટી અમદાવાદમાં શુક્રવારે બપોરે વરસેલા ભારે વરસાદને પગલે જનજીવન ઉપર ભારે અસર જોવા મળી હતી.બપોરના એકથી લઈ ચાર સુધીના ભારેથી અતિભારે પડેલા વરસાદના કારણે જનજીવન બેહાલ બનેલું જોવા મળ્યુ હતું.પૂર્વથી લઈ પશ્ચિમ અને ઉત્તરથી લઈ દક્ષિણ સુધીના તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનના મોનસુન એકશન પ્લાન ઉપર વરસાદી બુલડોઝર ફરી વળ્યુ હતું.કયાંક મકાન તો કયાંક ગેલેરી ધરાશાયી થવાની ઘટના પણ બનવા પામી હતી.
ઘણો લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ શુક્રવારે બપોરે બારના સુમારે શહેરમાં આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયા બાદ વરસાદની શરુઆત થઈહતી.બપોરે એક કલાકથી સમગ્ર શહેરમાં વરસાદે ગતિ પકડતા બે કલાકના સમયમાં વરસાદે અમદાવાદ શહેરને ઘમરોળી નાંખ્યુ હતુ.બે કલાકમાં શહેરના પૂર્વમાં આવેલા રખિયાલ,ગોમતીપુર ઉપરાંત ઓઢવ,વિરાટનગર તેમજ રામોલ અને વસ્ત્રાલ વોર્ડમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતા તમામ રસ્તાઓ ઉપર બેથી ત્રણ ફૂટ સુધીના વરસાદી પાણી ફરી વળ્યા હતા.
બોપલ,સેટેલાઈટ,જોધપુર ઉપરાંત એસ.જી.હાઈવે,વસ્ત્રાપુર,માનસી સર્કલ,શિવરંજની સહિતના વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો રસ્તામાં જ અટવાઈ પડયા હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્ર અને સત્તાધીશો તરફથી મોનસુન એકશન પ્લાનને લઈ કરવામાં આવેલી કામગીરીને લઈ કરવામાં આવેલી તમામ જાહેરાત પોકળ હોવાથી શહેરીજનોને સહન કરવાની પરિસ્થિતિ આવી પડી એ મ્યુનિસિપલ તંત્ર અને સત્તાધીશોની નિષ્ફળતા છતી કરે છે એવો આક્ષેપ વિપક્ષનેતા શહેજાદ ખાન પઠાણે કર્યો છે.
અમદાવાદમાં જે પ્રમાણે શુક્રવારે બપોરે વિવિધ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો એના પગલે મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરા સહિત સત્તાધારી પક્ષના હોદ્દેદારોને પાલડી ખાતે આવેલા મ્યુનિસિપલ કંટ્રોલરુમ દોડી જવાની પરિસ્થિતિ પણ સર્જાવા પામી હતી.દર વર્ષે પ્રિ-મોનસુન એકશન પ્લાન હેઠળ કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે.આમ છતાં આ ખર્ચ ઉપર વરસાદી પાણી ફરી વળે છે.શુક્રવારના વરસાદે મ્યુનિ.ના પ્રિ-મોનસુન એકશન પ્લાન ઉપર રીતસરનું બુલડોઝર ફેરવી દીધુ હતું.


