અમદાવાદ,શુક્રવાર,13 મે, 2022 : સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિ.તંત્રની બલિહારીથી શહેરમાં બાકી મિલકતવેરાની વસૂલી માટે સાત ઝોનમાં સીલ કરવામાં આવેલી ૨૨૩૯૪ મિલકતો પૈકી ૨૨૧૨ મિલકતના સીલ પાર્ટ પેમેન્ટ અથવા પેમેન્ટ વસૂલ્યા વગર ખોલી દેવાયા હતા.આ મિલકતોમાં હવે કાયદાકીય કાર્યવાહી કરી પેમેન્ટ ભરવામાં નહીં આવે તો મિલકત સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે.૨૮૧ કેસમાં કુલ ૨.૨૬ કરોડ જેટલી લોકોએ ભરેલી ટેકસની રકમ મ્યુનિ.માં જમા ન થવાના કેસમાં તાકીદે પોલીસ ફરિયાદ નોંધાવા તંત્રને તાકીદ કરાઈ છે.
રેવન્યુ કમિટીની બેઠક બાદ ચેરમેન જૈનિક વકીલે પ્રતિક્રીયા આપતા કહ્યુ,સાત ઝોનમાં પહેલી ફેબુ્રઆરીથી ૩૧ માર્ચ સુધીમાં બાકી મિલકત વેરાની વસૂલાત માટે સીલ કરાયેલી ૨૨૩૯૪ મિલકત પૈકી મધ્યઝોનમાં ૨૯૦૧ મિલકત સીલ કરાઈ હતી.આ પૈકી ૨૦૯ મિલકતમાં પાર્ટ પેમેન્ટ અથવા પેમેન્ટ વગર સીલ કઢાયા હોય એવી ૨૦૯ મિલકત હતી.આ પૈકી ૧૬૧ મિલકતમાં પાર્ટ પેમેન્ટ થયુ હતું.ઉત્તરઝોનમાં પાર્ટ પેમેન્ટકે પેમેન્ટ વગર સીલ ખોલાયા હોય એવી ૧૯૫ મિલકત મળી હતી.આ પૈકી નવમાં ડુપ્લીકેશન જણાયુ છે.દક્ષિણ ઝોનમાં આ પ્રકારેની ૨૦૧ મિલકત, જયારે પૂર્વ ઝોનમાં આ પ્રકારે સીલ ખોલાયા હોય એવી વીસ મિલકત મળી આવી હતી.પશ્ચિમ ઝોનમાં પેમેન્ટ વસૂલ્યા વગર સીલ ખોલી દેવાયા હોય એવી ૬૦૨ મિલકત, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૨૩ મિલકત જયારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૮૬૨ મિલકત બાકી ટેકસની વસૂલાત કર્યા વગર ખોલી દેવાયા હતા.
આ મિલકતો પૈકી જે મિલકતોમાં આંશિક રકમ ભરાવી અથવા કોઈપણ રકમ ભરાવ્યા સિવાય સીલ ખોલી દેવામાં આવ્યા છે તેવી મિલકતોમાં જે તે ઝોન દ્વારા કલમ-૪૨-૪૩ મુજબની નોટિસ આપી પંદર દિવસની અંદર ટેકસની રકમ ભરપાઈ નહીં કરાય તો પંચનામુ કરી મિલકતના દરવાજા ઉપર લાખથી સીલ મરાશે.મિલકત ટાંચમાં લીધા બાદ જીપીએમસી એકટની જોગવાઈ મુજબ મિલકતની હરાજી કે વેચાણ કરવાની પણ જોગવાઈ છે.શહેરમાં ૨૮૧ કરદાતાઓએ મિલકતવેરા પેટે ભરેલી ૨.૨૬ કરોડ જેટલી રકમ મ્યુનિ.કોર્પોરેશનમાં જમા થયા વગર ક્રેડીટ થવાના કીસ્સામાં પોલીસ ફરિયાદ કરવા ઉપરાંત ફોરેન્સીક ઓડિટ કરાવી સિસ્ટમને ફુલપ્રુફ બનાવી થર્ડ પાર્ટી ઈન્સપેકશન કરાવવા કમિટીમાં ચર્ચા થઈ હતી.
મ્યુનિ.દ્વારા અમલમાં મુકાયેલી એડવાન્સ ટેકસ રીબેટ યોજનામાં ૧૩ મે સુધીમાં મ્યુનિ.ને ૨૪૨.૮૯ કરોડની આવક થઈ છે.અત્યાર સુધીમાં કુલ ૨,૩૬,૨૨૯ કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો છે.૫૬.૨૧ ટકા રકમ કરદાતાઓએ ઓનલાઈન પેમન્ટથી ભરપાઈ કરી છે.