અમદાવાદ : સ્માર્ટ સિટીના મિસમેનેજમેન્ટનું વધુ એક ઉદાહરણ સામે આવવા પામ્યું છે.અમદાવાદ શહેરમાં આવેલા તમામ પાર્કસ,ગાર્ડન ઉપરાંત જાહેર રસ્તાઓની સેન્ટ્રલ વર્જ ઉપર મ્યુનિ.તંત્ર તરફથી રોપવામાં આવેલા વિવિધ રોપાઓને ઉછેરવા માટે બે મહિનામાં ૧૨ લાખ લિટર શુધ્ધ પાણીનો વપરાશ કરવામાં આવ્યો હતો.સરકારની ગાઈડલાઈન છતાં રોપાઓના ઉછેર માટે આ સમયમાં વાપરવામાં આવેલા ૧૪ લાખ લિટર પૈકી માત્ર બે લાખ લિટર ટ્રીટે કરેલ પાણી રોપાના ઉછેર માટે વાપરવામાં આવ્યું હતું.આ બાબતના ગંભીર પ્રત્યાઘાત સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં પડયા હતા.
અમદાવાદ શહેરમાં મિશન મિલીયન ટ્રી અભિયાન અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ખુલ્લા પ્લોટો ઉપરાંત શહેરના જાહેર સ્થળો ઉપરાંત વિવિધ મુખ્ય રસ્તાઓ ઉપર આવેલ સેન્ટ્રલ વર્જ તથા રોડ ડીવાઈડર ઉપર અલગ અલગ જાતના રોપા રોપવામાં આવી રહ્યા છે.મ્યુનિ.તંત્ર તરફથી રોપવામાં આવતા આ રોપાઓના ઉછેર માટે ઉપયોગમાં લેવાતા પાણીને લઈ સ્ટેન્ડીંગ કમિટીના સભ્યે વિગત માંગતા તંત્ર તરફથી બે મહિનામાં રોપાઓના ઉછેર માટે કુલ મળીને ૧૪ લાખ લિટર પાણી વાપરવામાં આવ્યુ હોવાનો જવાબ આપવામાં આવ્યો હતો.ઉપયોગમાં લેવાયેલા ૧૪ લાખ લિટર પાણી પૈકી માત્ર બે લાખ લિટર જ ટ્રીટ કરેલા પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે પ્રતિક્રીયા આપતા કહ્યુ,તંત્રના સંબંધિત અધિકારીને આ સંદર્ભમાં સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે,રોપાઓના ઉછેર માટે માત્ર ટ્રીટ કરેલા પાણીનો જ ઉપયોગ કરવો.શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા તળાવો પૈકી બાર તળાવ ખાતે ટર્સરી પ્લાન્ટ બનાવી પાણી ટ્રીટ કરી શકાય એ માટે આયોજન હાથ ધરવામાં આવશે.ટ્રીટ કરેલુ પાણી જ પ્લાન્ટેશન માટે વાપરવુ એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.અગાઉ તંત્ર તરફથી રસાલા ગાર્ડન અને વસ્ત્રાપુર તળાવ ખાતે આ પ્રકારના આયોજન કરવામાં આવ્યા હતા.
અમદાવાદ મ્યુનિ.તંત્ર તરફથી શહેરમાં માથાદીઠ દૈનિક ૧૩૫ લિટર પાણી આપવામાં આવી રહ્યુ છે.જે પ્રમાણે બે મહિનામાં રોપા ઉછેરવા માટે ૧૨ લાખ લિટર શુધ્ધ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો.એને બદલે ટ્રીટ કરેલા પાણીનો ઉપયોગ રોપા ઉછેર માટે કરવામાં આવ્યો હોત તો એક અંદાજ મુજબ,શહેરમાં આવેલા આઠ હજારથી વધુ મકાનમાં શુધ્ધ પાણી આપી શકાયુ હોત.
શહેરની ફૂટપાથ ઉપર રહેતા લોકોને વિવિધ વિસ્તારમાં આવેલા રેનબસેરામાં વસવાટ માટે તંત્રે કરેલા પ્રયાસ બાદ સો લોકોને રેનબસેરામાં રાખવામાં આવ્યા હતા.પરંતુ આ લોકો ફરી પાછા મુળ જગ્યાએ જતા રહેતા પોલીસની મદદ લેવા મ્યુનિ.કમિશનરને આવા લોકોને રેનબસેરામાં રાખવાની વ્યવસ્થા કરવા સુચન કરાયુ છે.વિવિધ વિસ્તારમાં આવેલા મ્યુનિ.સંચાલિત જીમ્નેશિયમમાં ફી અંગેના બોર્ડ મુકવામાં ના આવતા હોવાનો મુદ્દો પણબેઠકમાં ચર્ચાયો હતો.કોરોના સંક્રમણ વધવાના સંજોગોમાં શહેરના વિવિધ વિસ્તારમાં વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવા બેઠકમાં સુચન કરાયુ હતું