હજારો વિદ્યાર્થીઓનો ત્રણ વર્ષનો અભ્યાસ પૂર્ણ પણ ટેબ્લેટ ન મળ્યા

HM News
2 Min Read

અમદાવાદ : ઉચ્ચ શિક્ષણમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એક હજાર રૃપિયામાં ટેબ્લેટ આપવાની સરકારની યોજના અંતર્ગત ૨૦૧૯માં પ્રવેશ લેનારા હજારો વિદ્યાર્થીઓનો ત્રણ વર્ષનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે અથવા પૂર્ણ થવા આવ્યો છે પરંતુ હજુ સુધી ટેબ્લેટ મળ્યા નથી અને ક્યારે મળશે તે પણ સરકાર દ્વારા જાહેરાત કરાતી નથી.

ડિપ્લોમા ઈજનેરી, બીબીએ,બીસીએ,બી.કોમ,બીએસસી ,બીએ સહિતના કોર્સના ૭૦ હજાર જેટલા વિદ્યાર્થીઓએ એક હજાર ૨૦૧૯માં ભરી દીધા હતા.૨૦૧૯-૨૦ના વિવિધ કોર્સના પ્રથમ વર્ષના ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના હતા.જેમાંથી ૭૦ હજાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ થાય તે પહેલા માર્ચમાં કોરોનાની મહામારી શરૃ થતા ટેબ્લેટ વિતરણ અટકી ગયુ હતુ અને ત્યારબાદ કંપનીના વિવાદને પગલે ટેબ્લેટની કંપની બદલી દેવાઈ હતી અને જેમાં ફરીથી ટેન્ડરિંગ પ્રક્રિયા અને ત્યારબાદ જે કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો તે કંપનીના ટેબ્લેટના સેમ્પેલ ટેસ્ટિંગ ફેઈલ જતા હજુ સુધી ટેબ્લેટ વિતરણ થઈ શક્યા નથી.

૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ના બે-બે લાખ જેટલા વિદ્યાર્થીઓને પણ ટેબ્લેટ આપવાના છે પરંતુ તેઓનુ તો રજિસ્ટ્રેશન જ શરૃ થયુ નથી ત્યારે જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરીને રૃપિયા પણ જમા કરાવી દીધા છે તેવા ૭૦ હજાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કયારે થશે તેની કોઈ જાહેરાત કરી નથી.મહત્વનું છેકે આ ૭૦ હજારમાં મોટા ભાગના ત્રણ વર્ષના ડિપ્લોમા-યુજી કોર્સના વિદ્યાર્થીઓનો તો અભ્યાસ પણ પૂર્ણ થઈ ગયો છે અને આ વિદ્યાર્થીઓને સરકાર હજુ ટેબ્લેટ આપી શકી નથી.હવે આ વિદ્યાર્થીઓ શું ટેબ્લેટ વગરના જ રહેશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.જો ટેબ્લેટના સેમ્પલ ટેસ્ટિંગમાં પાસ થઈ ગયા હોય તો વિતરણ કેમ કરાતુ નથી?

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *