હાલ સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેવામાં કોરોનાને કારણે હરિદ્વાર કથા સાંભળવા માટે ગયેલાં સુરત અને સૌરાષ્ટ્રનાં 447 વડીલો ફસાઈ ગયા છે. હવે તેઓની પાસે દવાઓ પણ પૂરી થઈ ગઈ છે. અને રાશન પણ ઓછું હોવાને કારણે તેઓને દિવસમાં ફક્ત એક જ વાર જમવાનું આપવામાં આવે છે. તેવામાં આ વડીલોએ ગુજરાત સરકાર પાસે મદદ માગી છે.
હરિદ્વારમાં 15મી માર્ચે કથાકાર ગણપત બાપાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા સાંભળવા માટે સુરત અને સૌરાષ્ટ્રના 447 જેટલાં વડીલો ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા હતા. 22મી તારીખની તેઓની રિટર્ન ટિકિટ હતી. પણ પીએમ મોદીએ 22મી માર્ચે જનતા કર્ફ્યુની જાહેરાત કરી હતી. જેથી કથા પતાવીને ઘરે પરત પહોંચે તે પહેલાં જ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. અને તમામ વડીલો હરિદ્વારમાં ફસાઈ ગયા હતા.જો કે આ તમામ વડીલોને એક ધર્મશાળામાં આશરો આપવામાં આવ્યો છે. પણ તમામ વડીલો હોવાથી તેઓ ડાયાબિટીસ અને બીપી જેવી બીમારીઓથી પીડાઈ છે. તેઓ પોતાની સાથે 10 દિવસની જ દવાઓ લઈ ગયા હતા. હવે તેઓની પાસે દવાઓનો સ્ટોક પૂરો થઈ ગયો છે. અને હવે તો રાશન ન મળતું હોવાને કારણે તેઓને દિવસમાં ફક્ત એક જ ટાઈમ જમવાની વ્યવસ્થા થઈ રહી છે. જયારે ડાયાબિટીસ વાળા સુકા નાસ્તા પર નિર્ભર રહે છે.
એકબાજુ હવે સમગ્ર દેશમાં ક્લોઝડાઉનની પરિસ્થિતિ છે. સમગ્ર દેશમાં ટ્રેન વ્યવહાર તો ઠીક પણ વાહન વ્યવહાર પણ બંધ છે. તેવામાં વૃદ્ધોને પરત આવવાની કોઈ વ્યવસ્થા થઈ રહી નથી. જેથી આ તમામ વડીલોએ ગુજરાત સરકાર આગળ હાથ ફેલાવીને મદદ માગી છે. અને તેઓને હરિદ્વારમાંથી સહીસલામત ગુજરાત લાવવા માટે અપીલ કરી છે.