લખનઉ તા.10 ઑગષ્ટ 2020 સોમવાર
દેશના વસતિ અને ક્ષેત્રફળ બંને દ્રષ્ટિએ મોટા એવા ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આડે હજુ તો બે વરસ બાકી છે પરંતુ અત્યારથી ભાજપ સિવાયના પક્ષો બ્રાહ્મણ મતદારોને રીઝવવા પરશુરામ ભક્ત બની રહ્યા હતા.ભાજપે રામ મંદિર બાંધ્યું તો અમે કેમ પરશુરામ મંદિર ન બનાવીએ એવા વિચારે બસપાના માયાવતી,સપાના અખિલેશ યાદવ અને અલબત્ત કોંગ્રેસે નોખનોખી જાહેરાત કરી દીધી હતી.
સપાના અખિલેશ યાદવે રવિવારે પરશુરામનું મંદિર બાંધવાની જાહેરાત કરી હતી. એની હારોહાર માયાવતીએ પણ આવી જાહેરાત કરી હતી.રવિવારે અખિલેશ યાદવે એક પત્રકાર પરિષદ યોજી હતી અને એમાં પરશુરામ મંદિરની જાહેરાત કરી હતી.તત્કાળ માયાવતીએ પત્રકાર પરિષદ યોજીને પરશુરામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપવાની જાહેરાત કરી હતી. આ બધાંને રાતોરાત એકવીસ વાર પૃથ્વી ક્ષત્રિયવિહોણી કરી નાખનારા જમદગ્નિ ઋષિના પુત્ર ભગવાન પરશુરામ યાદ આવ્યા હતા.વાસ્તવમાં બ્રાહ્મણ મતદારોના મત અંકે કરવાનો આ એક પ્રયાસ હતો.ઉત્તર પ્રદેશમાં લગભગ નામશેષ થઇ ગયેલા કોંગ્રેસ પક્ષે બ્રાહ્મણ ચેતના સંઘ દ્વારા બ્રાહ્મણ મતદારોને રીઝવવાની યોજના ઘડી હતી.
માયાવતીને અચાનક પોતે દલિત અને બ્રાહ્મણોનું ગઠબંધન કર્યું હતું એ યાદ આવ્યું હતું.પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે દરેક જાતિ-જ્ઞાતિના મહાપુરુષોને બસપા જેટલો આદર કોઇએ આપ્યો નથી.બસપા ફરી સત્તા પર આવશે તો ભગવાન પરશુરામની દુનિયામાં સૌથી ઊંચી પ્રતિમાની સ્થાપના કરશે અને વિવિધ સંસ્થાઓ તેમજ હૉસ્પિટલો અને પાર્કને વિવિધ મહાનુભાવોનાં નામ આપવામાં આવશે.
વાસ્તવમાં ખાસ્સા લાંબા સમય સુધી કોંગ્રેસ પક્ષે બ્રાહ્મણોના સહકારથી ઉત્તર પ્રદેશમાં સત્તા ભોગવી. ત્યારબાદ દલિત પ્લસ બ્રાહ્મણ એ ફોર્મ્યુલા દ્વારા 2007માં માયાવતીએ રાજ કર્યું. ત્યારબાદ સવર્ણો ભાજપ તરફ વળ્યા.હવે સપા,બસપા અને કોંગ્રેસ ફરી એકવાર બ્રાહ્મણોને રીઝવવા વ્યૂહ ઘડી રહ્યા હતા.


