– લોકડાઉન દરમિયાન આવકમાં કરોડો રૂપિયાનો ઘટાડો : શિરડી સાઈબાબા મંદિર,કેરળનું પદ્મનાથ મંદિર,મુંબઈનું સિદ્ધિ વિનાયક સહિતના મંદિરો માટે એફ.ડી.તોડી કર્મચારીઓને પગાર ચુકવવાની નોબત
દિલ્હી : દેશના સુવિખ્યાત મંદિરોને મળતા દાનમાં લોકડાઉન દરમિયાન કરોડો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.કર્મચારીઓને પગાર ચૂકવવા માટે મંદિર પાસે રહેલી એફ.ડી.તોડવાનો અથવા તો તેના વ્યાજમાંથી ચુકવવાની નોબત આવી ગઈ છે.જેથી મોટા ભાગના મંદિરો ઓનલાઇન દાન લેવાનું વિચારી રહ્યા છે.કેરળનું તિરુઅનંતપુરમનું પદ્મનાભ સ્વામી મંદિર દેશમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતું મંદિર છે.લૉકડાઉનથી મંદિરને લગભગ 6 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે.મંદિરને મહિને સરેરાશ અઢીથી ત્રણ કરોડ રૂપિયાની આવક થાય છે.મંદિરના 307 કર્મચારીઓને દર મહિને 1.1 કરોડ રૂપિયા વેતન તરીકે અપાય છે.ગયા મહિને બેન્કમાં ભેગી થયેલી રકમ અને આ મહિને એફડી પર મળનારા વ્યાજમાંથી વેતન અપાયું હતું.ઓનલાઈન દાન દ્વારા રોજના લગભગ 25 હજાર રૂપિયા જ મળે છે.રોજ સૌથી વધુ દાન મેળવનારા તિરૂપતિના વેંકટેશ્વર બાલાજી દેવસ્થાનમને દર મહિને લગભગ 200 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવું પડે છે.છેલ્લા બે મહિનામાં 400 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે.મંદિરના લગભગ 22 હજાર કર્મચારીઓના વેતન, સારસંભાળ અને સુરક્ષા પાછળ દર મહિને 110 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.સમિતિના જણાવ્યા મુજબ મેનું વેતન તો આપીશું પણ જૂનથી નવા સાધનો શોધવા પડશે.