નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયમાં દેશભરમાં કોરોનાના કેસ વધ્યા છે ત્યારે કેબિનેટે ૧૮-૫૯ વર્ષના લોકોને ફ્રી પ્રિકોશન ડોઝની મંજૂરી આપી છે.સરકારે બુધવારે જણાવ્યું હતું કે,૭૫ દિવસની આ ઝુંબેશ ૧૫ જુલાઇથી શરૂ થવાની શક્યતા છે અને લોકો સરકારી વેક્સિનેશન કેન્દ્રો પરથી પ્રિકોશન ડોઝ મેળવી શકશે.
સરકારે જણાવ્યું હતું કે,નિર્ણયનો હેતુ કોરોનાના પ્રિકોશન ડોઝની સંખ્યા વધારવાનો છે.સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠને સરકાર‘આઝાદીના અમૃત મહોત્સવ’તરીકે ઉજવી રહી છે અને આ વેક્સિનેશન ઝુંબેશ પણ તેનો જ ભાગ હશે.સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે,“કેન્દ્રીય કેબિનેટે ભારતની સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠના ભાગરૂપે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે.”આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક ટિ્વટમાં જણાવ્યું હતું કે,“આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ૧૮ વર્ષ અને વધુ વયના તમામ નાગરિકોને ૧૫ જુલાઇથી ૭૫ દિવસ સુધી સરકારી રસીકરણ કેન્દ્રોમાં પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.તે પુખ્ત વયના તમામ લોકોને વાઇરસ સામે રક્ષણ આપશે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે,“૧૮ વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને ફ્રી પ્રિકોશન ડોઝ આપવાના સરકારના નિર્ણયથી વધુ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાશે અને દેશને વધુ સ્વસ્થ બનાવવામાં મદદ મળશે.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે,“વેક્સિનેશન કોવિડ-૧૯ સામે લડવા માટેનું અસરકારક હથિયાર છે.”માંડવિયાએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે,“લોકોએ ખાનગી ક્લિનિકમાં પ્રિકોશન ડોઝ લેવા માટે નાણાં ચૂકવવા પડે છે.”તેમણે કહ્યું હતું કે,“દરેક વ્યક્તિ માટે બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે અને કોઇએ તેના માટે ખર્ચ નહીં કરવો પડે.”માંડવિયાએ સરકારને સમગ્ર કવાયતમાં કેટલો ખર્ચ થશે તેની માહિતી આપી ન હતી. તેમણે આ નિર્ણય માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.
માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે,“નિર્ણયને પગલે કોવિડ-૧૯ સામે ભારતની લડત વધુ મજબૂત બનશે અને સુરક્ષાનું વધુ એક સ્તર ઉમેરાશે.હું તમામ લોકોને વહેલી તકે પ્રિકોશન ડોઝ લેવા વિનંતી કરું છું.” ઉલ્લેખનીય છે કે,અત્યાર સુધીમાં ૧૮-૫૯ વર્ષના ૭૭.૧૦ કરોડ લોકોની ટાર્ગેટ વસ્તીમાંથી એક ટકા કરતાં પણ ઓછા લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે.જોકે,૬૦ વર્ષ અને વધુ વયના ૧૬.૮૦ કરોડ લોકો તેમજ હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સમાંથી ૨૫.૮૪ ટકાને બૂસ્ટર ડોઝ અપાઈ ચૂક્યો છે.અધિકારીએ જણાવ્યું હતું કે,“ભારતની મોટા ભાગની વસ્તીને ૯ મહિના પહેલાં બીજો ડોઝ મળી ચૂક્યો છે.ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્સ(ICMR)અને અન્ય આંતરરાષ્ટ્રીય રિસર્ચ સંસ્થાઓના જણાવ્યા અનુસાર બીજા ડોઝ પછી છ મહિનામાં એન્ટિબોડીનું પ્રમાણ ઘટવા માંડે છે.આ સ્થિતિમાં બૂસ્ટર ડોઝ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.”
ઉલ્લેખનીય છે કે,આરોગ્ય મંત્રાલયે ગયા સપ્તાહે કોવિડ-૧૯ વેક્સિનના બીજા ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો ગાળો ૯ મહિનાથી ઘટાડી છ મહિના કર્યો હતો.વેક્સિનેશનની ઝડપ વધારવા અને લોકોને બૂસ્ટર ડોઝ માટે પ્રોત્સાહિત કરવા સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહેલી જૂનથી‘હર ઘર દસ્તક કેમ્પેન ૨.૦’ની શરૂઆત કરી છે.બે મહિનાની આ ઝુંબેશ અત્યારે ચાલુ છે.
સરકારી ડેટા અનુસાર દેશની કુલ વસ્તીના ૯૬ ટકા લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અને ૮૭ ટકા લોકોને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે.ભારતે ચાલુ વર્ષે ૧૦ એપ્રિલથી ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરી હતી.અત્યારે ૬૦ વર્ષ અને વધુ વયના તમામ નાગરિકો તેમજ હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સને સરકારી આરોગ્ય કેન્દ્રોમાં વિના મૂલ્યે પ્રિકોશન ડોઝ અપાય છે.
દેશમાં કોરોના વેક્સિન આપવાની શરૂઆત ગયા વર્ષે ૧૬ જાન્યુઆરીએ કરવામાં આવી હતી.પ્રારંભિક તબક્કે હેલ્થકેર વર્કર્સને અને બીજી ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઇન કર્મચારીઓને વેક્સિન અપાઈ હતી.૧૫-૧૮ વર્ષના લોકોને ચાલુ વર્ષે ૩ જાન્યુઆરીથી વેક્સિન આપવાની શરૂઆત કરાઈ હતી.જ્યારે ૧૨-૧૪ વર્ષના બાળકોના વેક્સિનેશનનો પ્રારંભ ૧૬ માર્ચથી કરાયો હતો.