નવી દિલ્હી તા.7 : દેશમાં જીએસટી લાગુ થયાના ત્રણ વર્ષ પછી પણ સિસ્ટમ ફુલપ્રુફ નથી.ટેકસચોરીના સંખ્યાબંધ કિસ્સામાં અનેકને જેલના સળીયા ગણવાનો વખત આવ્યા વચ્ચે હવે કાયદાની સમીક્ષા કરવામાં આવી છે અને તેમાં કરચોરીની શંકાના આધારે કરદાતાની ધરપકડ કરવાની અધિકારીઓની સતા રદ કરવામાં આવે તેવા નિર્દેશ છે.
જીએસટી કાયદાની વિસ્તૃત સમીક્ષાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે.વેપાર ઉદ્યોગનું સેન્ટીમેન્ટ સુધારવા તથા કાનુની કેસોની સંખ્યા ઘટાડવાનો ઉદેશ છે. શંકાના આધારે કરદાતાની ધરપકડ કરવાની અધિકારીઓની સતા રદ કરવા ઉપરાંત વધુ ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવવા કે વાસ્તવિક બીલ રજુ નહીં કરવા,સંપતિ ટાંચમાં લેવાની પ્રક્રિયામાંથી બેંક ખાતાઓને બાકાત રાખવા જેવા પગલાઓ લેવાની વિચારણા છે.માત્ર મોટી રકમના કૌભાંડોમાં જ ફોજદારી પ્રક્રિયા કરવાની જોગવાઈ રાખવામાં આવે તેવી શકયતા છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસીસ સાથે વેપારી-ઉદ્યોગકારોની શ્રેણીબદ્ધ બેઠકોમાં આવા અનેક મુદાઓ પર લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી.
કંપની ધારા સહિતના અનેકવિધ કાયદામાં સામાન્ય ગુનાઓને ફોજદારી ધારામાંથી બહાર કાઢવાના ધોરણે જ જીએસટીમાં બદલાવ કરવાનો વ્યુહ છે.કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને પણ બજેટ ભાષણમાં સંકેત આપ્યો જ હતો કે સીવીલ ગુના જેવા ગુનાઓમાં ફોજદારી જવાબદારી દુર કરાશે અને તે મુજબ કંપનીધારામાં અનેક મહત્વના સુધારા કરવામાં આવ્યા હતા.અન્ય કાયદાઓની પણ ચકાસણી-સમીક્ષા કરવાનું અને તેના આધારે જરૂરી સુધારા કરવાનું જાહેર કર્યુ હતું.
સરકારના મોટાભાગના વિભાગો પોતપોતાના સંચાલન હેઠળના નિયમોને બીજફોજદારી કરવાના મૂડમાં છે.નાણાકીય સેવા વિભાગે તાજેતરમાં જુદા-જુદા 19 નિયમો- જોગવાઈઓને બીનફોજદારી બનાવવાની દરખાસ્ત કરી હતી તેમાં નિગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ, એલઆઈસી, આરબીઆઈ, બેંગ રેગ્યુલેશન એકટ વગેરેમાં સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે વેપાર ઉદ્યોગ સંગઠનોના સૂચનો પણ લક્ષ્યમાં લેવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા ઝડપથી આગળ ધપાવવામાં આવશે. સેન્ટ્રલ જીએસટી એકટની કલમ 132(1) અંતર્ગત બોગસ રીફંડ મેળવવા માટે દસ્તાવેજોમાં છેડછાડ,બોગસ બીલીંગ,અધિકારીઓની કામગીરીમાં અવરોધ નાખવા ગુનાઓમાં પાંચ વર્ષ સુધીની જેલ સજાની જોગવાઈ છે.હવે આ પ્રકારના ગુનાઓને બીનફોજદારી કરવાની દરખાસ્ત છે.
સૂત્રોએ એમ કહ્યું છે કે અત્યાર સુધીમાં સંખ્યાબંધ કેસોમાં ધરપકડ કરવામાં આવી છે.પરંતુ ચાર્જશીટ બાકી છે.ઈરાદાપૂર્વક કૌભાંડ કરવા કે ભુલથી ગરબડ થવા મામલે પણ કોઈ સ્પષ્ટતા નથી.