– નશીલા પદાર્થ સાથે નોન-વેજની તુલના ન કરી શકાયઃ સરકાર
– રાજ્ય મહાત્મા ગાંધીના સિદ્ધાંતો માટે કટિબદ્ધ છે: સરકાર
અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે.રાજ્યમાં અનેક વખત પોલીસે ગેરકાયદે ઘુસાડવામાં આવતા દારૂ અને બૂટલેગરો દ્વારા બેફામ વેચાઈ રહેલા દારૂનો પર્દાફાશ કર્યો છે.હાઈકોર્ટમાં દારૂબંધીના કાયદાને પડકારતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે.
એડવોકેટ જનરલે અરજી સાંભળવાનો હાઇકોર્ટને અધિકાર ન હોવાની રજૂઆત કરી હતી, જે બાદ હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.આ પહેલાં રાજ્યના એડવોકેટ જનરલે દારૂબંધીના કાયદાને પડકારતી અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આ અરજીઓ હાઈકોર્ટ સમક્ષ ટકી શકે નહીં એવી રજૂઆત કરી હતી. એડવોકેટ જનરલે નોન-વેજ ખાવાના અધિકારની તુલના નશીલા પદાર્થોના સેવન સાથે ન કરી શકાય એમ રજૂઆત કરી હતી.
એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી : નોન-વેજ ખાવાના અધિકારની તુલના નશીલા પદાર્થોના સેવન સાથે કરી શકાય નહીં. કાલે કોઈ કહેશે કે જો હું મારી ચાર દીવાલો વચ્ચે ડ્રગ્સ લઈ રહ્યો છું તો તમને વાંધો નહીં આવે.
એડવોકેટ જનરલ : ભૂતકાળમાં જે કાયદો માન્ય હતો એ આજે અમાન્ય ઠેરવી શકાય, પરંતુ આવી રજૂઆત કરવા માટે અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં જવું પડે. હાઇકોર્ટ સમક્ષ દારૂબંધી હટાવવાની માગણી ટકી શકે નહીં. હાઈકોર્ટને દારૂબંધીનો કાયદો યોગ્ય છે કે નહીં એ નક્કી કરવાનો અધિકાર નથી. વ્યક્તિ ઘરે નોન-વેજ ખાય તો તેને રોકી શકાય નહીં, પરંતુ ઘરે બેસીને જો દારૂ પીવે તો તેને રોકવાનો રાજ્ય સરકારને અધિકાર છે, કારણ કે રાજ્યમાં દારૂબંધીનો કાયદો લાગુ છે.
એડવોકેટ જનરલ : જો અરજદાર આની સામે લડત છેક સુધી લડવા માગતા હોય તો તેઓ આને સુપ્રીમ કોર્ટ સમક્ષ લઇ શકે છે, પરંતુ હાઈકોર્ટ સમક્ષ નહીં.રાઇટ ટુ પ્રાઇવસીની આ કલ્પના ચીનની દુકાનમાં બુલ જેવું નથી. એ સામાજિક વાતાવરણ, લોકહિતના સંદર્ભમાં વાજબી પ્રતિબંધોને આધીન હોઈ શકે છે.
એડવોકેટ જનરલ : “રાજ્ય મહાત્મા ગાંધીના સિદ્ધાંતો માટે કટિબદ્ધ છે અને દારૂ પીવાના જોખમને નાબૂદ કરવા માટે નિશ્ચિતપણે ઇરાદો રાખે છે. ”
એડવોકેટ મિહિર જોશી : રાજ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધા પ્રારંભિક નથી.એક નાગરિક કોર્ટમાં આવવાનો હકદાર છે.આ કિસ્સામાં નામદાર કોર્ટ તપાસ કરશે કે 2017માં માન્યતાના અધિકારમાં નશીલાં દ્રવ્યોની પસંદગીનો સમાવેશ થાય છે કે કેમ.
મિહિર જોશી : પ્રોહિબિશન એક્ટમાં રજૂ કરવામાં આવેલી નવી જોગવાઈઓની સુપ્રીમ કોર્ટ દ્વારા ક્યારેય તપાસ કરવામાં આવતી નહોતી,તેથી તે અમને સાંભળવાનું બીજું કારણ છે.
એડવોકેટ સૌરભ સોપરકર : એડવોકેટ જનરલ ત્રિવેદી દ્વારા ઉલ્લેખ કરવામાં આવેલા ચુકાદાઓની આ કેસમાં કોઈ અરજી નથી.રિસર્ચ એ નથી કે દલીલોનો અભ્યાસ પણ ન હતો,નિર્ણયની ગેરહાજરી એ નિર્ણય બની શકતો નથી.
‘રાઈટ ટુ પ્રાઈવસીનો મતલબ ઘરમાં દારૂ પીવાની છૂટ ન આપી શકાય’
નોંધનીય છે કે આ પહેલાં અરજદારે રાઈટ ટુ પ્રાઈવસીમાં કોઈ ઘરે શું ખાશે કે શું પીશે એની પર પ્રતિબંધ લગાવવાનો સરકારનો અધિકાર નથી,અન્ય રાજ્યમાંથી દારૂ પીને રાજ્યમાં આવનારા પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે એ યોગ્ય નથી,એવી દલીલ કરી હતી.રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે રાઈટ ટુ પ્રાઈવસીનો અર્થ એ નથી કે લોકોને ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ આપી શકાય.તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે રાઈટ ટુ પ્રાઈવસીનો મુદ્દો ઉઠાવવો હોય તો અરજદારોને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે.
દર વર્ષે 66 હજાર લોકો પાસે જ પરમિટ ઉપલબ્ધ હોય છે
એડવોકેટ જનરલે દારૂબંધીના કાયદાને પડકારતી અરજીની સુનાવણીમાં રજૂઆત કરી હતી કે રાજ્યમાં 6.75 કરોડની વસતિમાં માત્ર 21 હજાર લોકોને જ હેલ્થ પરમિટ આપવામાં આવી છે.વિઝિટર અને ટૂરિસ્ટ પરમિટ જેવી ટેમ્પરરી પરમિટ થઈને પણ રાજ્યમાં દર વર્ષે માત્ર 66 હજાર લોકો પાસે જ પરમિટ ઉપલબ્ધ હોય છે.તેમણે રાજ્યમાં 71 વર્ષથી દારૂબંધીનો કાયદો અમલમાં હોવાની પણ રજૂઆત કરી હતી.
એ ઉપરાંત મહાત્મા ગાંધીનાં અહિંસા અને નશામુક્તિનાં સૂત્રોને સાર્થક કરવાનો પ્રયાસ છે એવી પણ રજૂઆત કરાઈ હતી.તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી યોગ્ય,દારૂબંધીના કાયદાનો ભંગ કરીને વ્યક્તિ પોતાના ઘરે બેસીને દારૂ પીવે એ પણ ચલાવી લેવાય નહીં.
5 અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી
ત્રણ વર્ષ પહેલાં એક અરજદારે ખાનગીમાં શરાબના સેવનની મંજૂરી માટે દાદ માગતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી.ત્યાર બાદ વધુ ચાર અરજદારે ગુજરાત નશાબંધી ધારા અને બોમ્બે ફોરીન લિકર રૂલ્સની વિવિધ સંલગ્ન કલમોને રદબાતલ ઠેરવવા માગણી કરી છે.આમાંના એક અરજદાર સંજય પરીખે બે વર્ષ પહેલાં વાતચીતમાં નશાબંધીના કાયદાને હળવો કરવા સરકારને અપીલ કરવા ઉપરાંત પોતાની અરજીનાં કારણો તથા તર્ક જણાવ્યાં હતાં.