મોરબી: મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં પાટીદાર આંદોલન સમયે મંજૂરી વગર વર્ષ 2017માં સભા યોજવામાં આવી હતી.જેથી કરીને હાર્દિક પટેલ,લલિત કાગથરા,લલિત વસોયા સહિતના આગેવાનો સામે જાહેરનામા ભંગનો ગુનો ટંકારમાં નોંધાયો હતો.જે ગુનામાં આજે તમામને મોટી રાહત મળી છે અને સરકાર પક્ષેથી આ કેસને પાછો ખેચી લેવામાં આવ્યો છે.
મોરબી સહિત 2017માં ગુજરાતમાં જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં પાટીદાર આંદોલનના આગેવાનો સામે ગુના નોંધવામાં આવ્યા હતા.ત્યારે મોરબી જિલ્લાના ટંકારામાં પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તેમજ વર્તમાન પ્રમુખ લલિતભાઇ કગથરા,લલીતભાઈ વસોયા,કિશોરભાઈ ચીખલિયા સહિતના 34 જેટલા લોકો ઉપર ફરિયાદ નોંધાઈ હતી.જેના અનુસંધાને આજે 30 લોકો ટંકારા કોર્ટ ખાતે હાજર થયા હતા.
સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ કેશોનો ઝડપથી નિકાલ કરવાની પ્રતિબધ્ધતા અનવયે ટંકારાના જજ એસ.એન.પુંજાણી દ્વારા ઉપરોક્ત વર્ષ 2017ના જાહેરનામાના ભંગના ગુનામાં સમન્સ આપીને હાર્દીક પટેલ સહિતના તમામ રાજકારણીઓને હાજર રહેવા માટે કહ્યુ હતું જે અનુસંધાને આજે તમામ હાજર રહ્યા હતા.જો કે પાટીદાર આંદોલન બાદ આંદોલનના આગેવાનોએ સરકાર સાથે વાટાઘાટો કરી હતી અને સરકારે મોટાભાગના કેસો પાછા ખેંચી લેવાની વાત કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા આ કેસ પાછો ખેંચવાનો થતો હોય કલેકટર દ્વારા આ કેસને વિડ્રો કરવા માટે કોર્ટમાં પક્ષ રજુ કર્યો હતો.જેથી કોર્ટે ઉપરોક્ત કેસ વિડ્રો કરેલ છે. જે તે સમયે બે ધારાસભ્યો સહિત કુલ 30 સામે કરવામાં આવી હતી અને કેસ વિડ્રો કરવાની સરકારની જાહેરતના પેપર ન પહોચ્યા હોવાથી આરોપીઓને બોલાવાયા હતા.આજે ટંકારા સિવિલ કોર્ટે હાર્દિક પટેલ સહિતના તમામ લોકોને જવા માટે કહેલ છે.
મોરબી-માળીયાની પેટા ચુંટણીમાં પાટીદારોને રીજવવા માટેનો આ સરકારનો પ્રયાસ છે તેમ ગીતાબેન પટેલે જણાવીને વેચાઇ ગયેલ માલ ઉપર મતદારો ભરોસો નહી કરે અને કોંગ્રેસ ફરી વિજયી બનશે તેવો આશાવાદ દર્શાવ્યો હતો.જયારે રેશામાબેન પટેલે જણાવ્યુ હતુ કે,સરકારના ઇશારે જ જાહેરનામ ભંગના ગુનામાં આતંકવાદીઓની જેમ આગેવાનો સાથે વ્યવહાર કરાયો હતો.
જયારે વરૂણ પટેલે જણાવ્યુ હતુ કે ગૃહમંત્રી સાથે વાત થઇ છે માટે વહેલી તકે કેસ પાછા ખેંચાઇ જશે તેવી અમને આશા છે.વરૂણ પટેલના તરફેથી મોરબી જિલ્લા બાર એસોસિયેશનના સેક્રેટરી મહિધરભાઇ દવે તેમજ અન્ય પક્ષકારોના તરફેથી એડ.બારૈયા રોકાયેલા હતા તેમ તેઓએ યાદીમાં જણાવેલ છે.