– મુખ્યમંત્રીએ કહ્યું કે,લવ જેહાદનો કાયદો ગુજરાતમાં હું કડક રીતે લાવવા માંગુ છું
– ગોધરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સભા યોજાઈ
ગોધરા : ગોધરા ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેર સભા યોજાઈ હતી.ગોધરા નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે.ત્યારે મુખ્યમંત્રીએ સભામાં લવ જેહાદ વિશે કડક કાયદો લાવવાની વાત કરી હતી.તો સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામકરણ પર કોંગ્રેસે કરેલા વિરોધ અંગે પણ જવાબ આપ્યો.
ગુજરાતમાં લવ જેહાદનો કડક કાયદો લાવીશું
લવ જેહાદનો કાયદો ગુજરાતમાં લાવવા વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે,લવ જેહાદનો કાયદો ગુજરાતમાં હું કડક રીતે લાવવા માંગુ છું.હિન્દુની છોકરીઓને કોઈ ઉઠાવી જાય એ હવે ચાલશે નહિ.આગામી વિધાનસભા સત્રમાં આ માટે હું કાયદો લાવવા પ્રયત્ન કરીશ.તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામકરણ વિશે કોંગ્રેસે કરેલા વિરોધ અંગે સીએમ રૂપાણી બોલ્યા,મોદીના નામે એક સ્ટેડિયમ થાય અને કોંગ્રેસવાળા સવાલો કરે છે. ત્યારે કોંગ્રેસના જ જવાહરલાલ નહેરુ,ઈન્દિરા ગાંધી,રાજીવ ગાંધીના નામે કેટકેટલા સ્ટેડિયમ છે એ કોંગ્રેસ જોતુ નથી.
28 મીનું મતદાન કોંગ્રેસની કબરને છેલ્લો ખીલો ઠોકવા સમાન હશે
ચૂંટણી પ્રચારમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસે અનેક પ્રયત્નો કર્યા કે પરિણામ વહેલા જાહેર ન થાય કારણ કે કોંગ્રેસને ખબર હતી કે તેમનો સફાયો થવાનો છે.એટલે કોંગ્રેસે રોકકળ કરી મૂકી હતી.કોંગ્રેસ સત્તા માટે તો લાયક નથી,પરંતુ વિરોધ પક્ષ માટે પણ લાયક રહ્યું નથી.પ્રજાએ બેરહેમીપૂર્વક કોંગ્રેસને હરાવી છે. 28 મીનું મતદાન કોંગ્રેસની કબરને છેલ્લો ખીલો ઠોકવા સમાન હશે.અમદાવાદમાં ઔવેસીની પાર્ટી 8 બેઠકો જીતી છે.કોંગ્રેસને મુસ્લિમોએ પણ જાકારો આપ્યો છે.ગુજરાત અને દેશના સદનસીબ છે કે, બંને જગ્યાએ કોંગ્રેસ સત્તામાં નથી. બાકી લાખો લોકોના મોત નિપજ્યા હોત.કોરોનામાં કોંગ્રેસ સૂફીયાની સલાહ આપે છે.ભાજપે રાતોરાત હોસ્પિટલો ઉભી કરી છે.વેક્સીનમાં પણ કોંગ્રેસને તકલીફ પડી.એર સ્ટ્રાઈક અને રામ મંદિર સામે અને ચૂંટણીના પરિણામોમાં ઈવીએમમાં કોંગ્રેસ આક્ષેપો કરે છે.


