– ‘ગર્વ સે કહો હમ હિન્દુ હૈ’ ના ગગનભેદી નારા સાથે લવ જેહાદ,ધર્માંતરણ અને લૅન્ડ જેહાદના વિરોધમાં સકલ હિન્દુ સમાજનો જનઆક્રોશ મોરચો નીકળ્યો
મુંબઈ ,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર : સકલ હિન્દુ સમાજ દ્વારા ગઈ કાલે લવ જેહાદ,ધર્માંતરણ અને લૅન્ડ જેહાદના વિરોધમાં કાયદો કરીને એ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પણ આખા દેશમાં લાગુ કરવામાં આવે એવી માગણી સાથે હિન્દુ જનઆક્રોશ મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું.સવારના ૧૦ વાગ્યે મોરચામાં ભાગ લેવા મોટી સંખ્યામાં આવી પહોંચેલા હિન્દુઓ દાદરના શિવાજી પાર્ક ખાતે ભેગા થયા હતા અને ત્યાર બાદ સેનાપતિ બાપટ રોડ પર પરેલ તરફ આવેલા કામગાર મેદાન સુધી મોરચો નીકળ્યો હતો જે ત્યાર બાદ સભામાં ફેરવાઈ ગયો હતો.આ મોરચામાં ભારતીય જનતા પાર્ટીના મુંબઈના અધ્યક્ષ આશિષ શેલાર,સંસદ સભ્ય મનોજ કોટક,કિરીટ સોમૈયા,ચિત્રા વાઘ,વિધાનસભ્ય પ્રસાદ લાડ,પ્રવીણ દરેકર,અતુલ ભાતખળકર અને નીતેશ રાણે સહભાગી થયાં હતાં.શિવસેનાના એકનાથ શિંદે જૂથનાં નેતાઓ શીતલ મ્હાત્રે,કિરણ પાવસકર અને સદા સરવણકરે પણ આ મોરચામાં હાજરી આપી હતી.
બીજી બાજુ મોરચાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે મોટી સંખ્યામાં પોલીસ-બંદોબસ્ત કરવામાં આવ્યો હતો અને દરેક ચોક પર મોટા પ્રમાણમાં પોલીસ ખડકી દેવામાં આવી હતી.
મોરચામાં જોડાયેલા નીતેશ રાણેએ કહ્યું હતું કે આ સંદેશ સાથે ઇશારો છે કે જો તમે હિન્દુઓને અવગણવાનો પ્રયાસ કરશો તો તકલીફ થશે.મુંબઈમાં હિન્દુઓની સંખ્યા વધારે છે. અમારો જે પણ વિરોધ કરશે તેમને અમે પહોંચી વળીશું એ કહેવાની જરૂર નથી.જે વિધર્મીઓ,રોહિંગ્યાઓ અહીં આવીને જમીનો પચાવી પાડે છે અને લવ જેહાદ દ્વારા વર્ચસ જમાવવાનો પ્રયાસ કરે છે એ ચલાવી નહીં લેવાય એ કહેવું જરૂરી હતું.મહાવિકાસ આઘાડીની સરકાર વખતે તો તહેવારોની ઉજવણી પર પણ નિયંત્રણો મુકાઈ ગયાં હતાં.બહારના દેશોમાંથી જે જેહાદીઓ રોહિંગ્યાઓ આવે છે તેમને કોણ પંપાળે છે? કોણ સહાય કરે છે? નવાબ મલિક અને અસલમ શેખ જેવા લોકો જ તેમને સપોર્ટ કરે છે.લવ જેહાદ સામે કાયદો કરાય એ સમયની જરૂરિયાત છે.આ બધી જ બાબતોને આ મોરચાના માધ્યમથી જવાબ મળશે અને હિન્દુઓની આડે હવે કોઈ નહીં આવે.હિન્દુ બહેન-દીકરીઓને ફસાવવી,તેમનું ધર્માંતર કરવું,તેમનું નામ બદલવું એ રોકવા ધર્માંતરવિરોધી કાયદો લાવવો જરૂરી છે.