– કૉન્ગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રીએ કરેલી ટિપ્પણીને જ બનાવ્યું હથિયાર, અગાઉ મૌત કા સૌદાગર, ચા વેચનારો તેમ જ ચૌકીદાર જેવી ટિપ્પણીઓનો પણ જવાબ આપ્યો હતો : રાહુલ ગાંધી પર આડકતરો આક્ષેપ : સત્તા મેળવવા યાત્રા કરવા નીકળ્યા
ગુજરાતમાં ગઈ કાલે સુરેન્દ્રનગરના દૂધરેજ પાસે ચૂંટણીસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસને આડે હાથ લીધી હતી અને વિકાસના મુદ્દે ચર્ચા કરવા પડકાર ફેંકતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસવાળા વિકાસના મુદ્દાની ચર્ચા નથી કરતા.કૉન્ગ્રેસવાળા કહે છે આ મોદીને તેમની ઔકાત બતાવી દઈશું, ઔકાત. અહંકાર તો જુઓ.મહેરબાની કરીને વિકાસના મુદ્દાની ચર્ચા કરો.આ ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવા આવો મેદાનમાં. આ ઔકાત બતાવવાના ખેલ રહેવા દો.’
ગુજરાતમાં સતત બીજા દિવસે નરેન્દ્ર મોદીએ દૂધરેજ, જંબુસર અને નવસારીમાં ચૂંટણીસભાઓ સંબોધી હતી.દૂધરેજ પાસેની સભામાં નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસ પર વાક્પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘ચૂંટણીમાં વિકાસની ચર્ચા થવી જોઈએ કે ના થવી જોઈએ? અમે હિસાબ આપવા તૈયાર છીએ,પણ કૉન્ગ્રેસને ખબર છે કે આવા મુદ્દા કાઢીએ તો બીજેપીનો જબરજસ્ત રેકૉર્ડ છે.બીજેપી ચઢી બેસે, કેમ કે બીજેપીએ એટલું બધું કામ કર્યું છે.એટલે હવે કૉન્ગ્રેસવાળા વિકાસના મુદ્દાની ચર્ચા નથી કરતા.કૉન્ગ્રેસવાળા કહે છે આ મોદીને તેમની ઔકાત બતાવી દઈશું, ઔકાત. અરે માબાપ, તમે તો બધા રાજપરિવારો છો. હું તો એક સામાન્ય પરિવારનું સંતાન છું.મારી કોઈ ઔકાત નથી બાપા.અરે હું તો સેવક છું.હું તો સેવાદાર છું.તેની કોઈ ઔકાત હોતી હશે? અરે તમે મને નીચ પણ કહ્યો,નીચી જાતિનો કહ્યો,મોતનો સોદાગર પણ કહ્યો, અરે તમે મને ગંદી નાળીનો કીડો પણ કહ્યો, બધું કહ્યું.હવે તમે ઔકાત બતાવવા નીકળ્યા છો. અમારી કોઈ ઔકાત નથી.મહેરબાની કરીને વિકાસના મુદ્દાની ચર્ચા કરો અને આ ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવા આવો મેદાનમાં.આ ઔકાત બનાવવાના ખેલ રહેવા દો’ કૉન્ગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રીએ ચૂંટણીઢંઢેરો જાહેર કરતી વખતે મોદીને તેમની ઔકાત બતાવી દઈશું એવી ટિપ્પણી કરી હતી,જેનો જોરદાર જવાબ મોદીએ આપ્યો હતો.અગાઉ સોનિયા ગાંધીની મોત કા સૌદાગર કહ્યો હતો.આ ઉપરાંત ચા વેચવાવાળો તેમ જ ચોકીદાર જેવી વાતો પણ કરી હતી.તેનો જવાબ મોદીએ એ રીતે આપ્યો હતો કે કૉન્ગ્રેસને બહુ ભારે પડી ગયું હતું.