– ૨૦૨૦ના અંતે ગુજરાતમાં ૧૭૫૦૦ અને ૨૦૨૧માં ૧૮૫૦૦ કર્મચારી નિવૃત્ત થશે,ખાલી જગ્યાઓ સામે પ્રતિવર્ષ માત્ર ૧૦ થી ૧૫ ટકા નિમણૂકો થાય છે
ગુજરાત સરકારમાં મેનપાવરની ક્રાઇસિસ થઇ ચૂકી છે.ચાલુ વર્ષેના અંતે ૧૭૫૦૦ અને ૨૦૨૧ તેમજ ૨૦૨૨માં ૩૪૦૦૦ જેટલા કર્મચારીઓ વયનિવૃત્ત થઇ રહ્યાં છે ત્યારે જો મોટાપાયે ભરતી નહીં થાય તો મોટાભાગના વિભાગોમાં ૫૦ ટકા જેટલો સ્ટાફ બચ્યો હશે.સરકારના વિભાગમાં એક કર્મચારી ત્રણ વ્યકિતનું કામ કરતો હશે.
ગુજરાત સરકારમાં ૨૩ વિભાગોમાં નિવૃત્તિથી ખાલી પડેલી જગ્યાઓમાં પ્રતિવર્ષ ૧૮૦૦૦નો વધારો થઇ રહ્યો છે છતાં સરકાર તમામ ખાલી પદો ભરવા ઇચ્છુક નથી. ઘણાં વિભાગોમાં એક કર્મચારી બેવડા હોદ્દાઓ ધરાવે છે.ગુજરાતમાં ૨૦૧૯ના અંતે ૧૮૦૦૦ કર્મચારીઓ નિવૃત્ત થયાં છે જેની સામે સરકારના ભરતી કેલેન્ડરમાં માત્ર ૧૦ હજાર જેટલી જગ્યાઓ ભરવા માટેની જોગવાઇ કરવામાં આવી હતી.
ગુજરાતમાં ૨૦૨૦ના વર્ષના અંતે ૧૭૫૦૦, ૨૦૨૧ના વર્ષમાં ૧૮૫૦૦ અને ૨૦૨૨ના અંતે અંદાજે ૧૭૦૦૦ જેટલી જગ્યાઓ ખાલી પડી રહી છે,જો કે આ જગ્યાઓમાં વર્ષે ૫૦૦૦ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડતી હોય છે.છેલ્લા પાંચ વર્ષમાં ૮૦ હજારથી વધુ સરકારી કર્મચારી ગુજરાતમાંથી નિવૃત્ત થયા છે.
રાય કર્મચારી મહામંડળના પ્રમુખ વિશ્નુભાઇ પટેલ કહે છે કે એક સમય એવો હતો કે ગુજરાતમાં તલાટીની ૨૫૦ જેટલી જગ્યાઓ માટે ૧૧ લાખ ઉમેદવારી પત્રો ભરાયા હતા જેમાં મહત્વની બાબત એવી છે કે એમબીએ અને તેનાથી વધુ અભ્યાસ કર્યેા હોય તેવા ઉમેદવારો વધારે પ્રમાણમાં જોવા મળ્યા હતા.એવી જ રીતે એસટી નિગમમાં ૧૨૦૦ જગ્યાઓ સામે ૧૨ લાખ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી.
આ મહામંડળના બીજા સિનિયર હોદ્દેદાર ગિરીશ રાવલ કહે છે કે આટલી મોટી સંખ્યાં ઉમેદવારો જોતાં ગુજરાતમાં રોજગારીની સ્થિતિ કેવી છે તેનો ખ્યાલ આવે છે. કોરોના સંક્રમણના કારણે હવે તો પ્રાઇવેટ નોકરીઓ છૂટી જતાં લાખો યુવાનો બેકાર થયાં છે.સરકારે પ્રતિવર્ષ નિવૃત્ત થતાં ૧૭૦૦૦ જેટલા કર્મચારીઓ સામે તેટલી જ સંખ્યામાં ભરતી કરવાની આવશ્યકતા છે. અમે સરકારને ભરતી માટે વારંવાર કહ્યા પછી ભરતીનું કેલેન્ડર બનાવવામાં આવ્યું છે પરંતુ તેનું પાલન થતું નથી