મુંબઈમાં બીએમસી પાસે લગભગ ૫.૦૮ લાખ દુકાનો અને એસ્ટૅબ્લિશમેન્ટ રજિસ્ટર્ડ છે મહાવિકાસ આઘાડીના શાસનકાળમાં બીએમસીએ મરાઠીમાં સાઇન બોર્ડ લગાવવાનો આદેશ જાહેર કર્યો હતો,જેનો સેંકડો દુકાનદારોએ વિરોધ કર્યો હતો.જોકે બીએમસી દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસ મુજબ લગભગ ૩૦ ટકા જેટલા દુકાનદારોએ બીએમસીના આદેશનું પાલન કર્યું છે.મુંબઈમાં બીએમસી પાસે લગભગ ૫.૦૮ લાખ દુકાનો અને એસ્ટૅબ્લિશમેન્ટ રજિસ્ટર્ડ છે.
સૌપ્રથમ સુધરાઈએ આ આદેશનું પાલન કરવા માટે ૧૫ મે સુધીનો સમય આપ્યો હતો તથા પાછળથી એને પહેલી જુલાઈ સુધી લંબાવ્યો હતો.જોકે અસોસિએશન ઑફ શૉપકીપર્સ દ્વારા આ આખો મામલો કોર્ટ સમક્ષ રજૂ કરાતાં બીએમસીએ આદેશનું પાલન ન કરનારાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી શરૂ કરી નથી.
ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર આશિષ શર્માએ કહ્યું હતું કે‘૩૦ જૂનના રોજ હાથ ધરેલા સર્વેક્ષણ મુજબ લગભગ ૩૦ ટકા જેટલા દુકાનદારોએ નવા નોટિફિકેશન મુજબ સાઇન બોર્ડમાં ફેરફાર કર્યા છે.જોકે બીએમસી પાસે વૉર્ડઆધારિત આંકડાકીય માહિતી ઉપલબ્ધ નથી.’મહારાષ્ટ્ર શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ્સ (રેગ્યુલેશન ઑફ એમ્પ્લૉયમેન્ટ ઍન્ડ કન્ડિશન ઑફ સર્વિસ)(સુધારો) ઍક્ટ ૨૦૨૨માં કરાયેલા સુધારા મુજબ રાજ્યની તમામ દુકાનોએ દેવનાગરી લિપિમાં મરાઠીમાં સાઇન બોર્ડ મૂકવાં ફરજિયાત છે.
જો સાઇન બોર્ડ પર એક કરતાં વધુ ભાષામાં દુકાનનું નામ લખવામાં આવ્યું હોય તો મરાઠી ભાષાના ફોન્ટ અન્ય ભાષા કરતાં નાના ન હોવા જોઈએ.મુંબઈમાં સાઇન બોર્ડ બનાવતા લોકો પ્રમાણમાં ઓછા હોવાથી તેમણે નવું સાઇન બોર્ડ બનાવવા માટે વધુ ખર્ચ કરવો પડશે એમ જણાવીને દુકાનદારોએ વધુ સમયની માગણી કરી હતી,જેને પગલે બીએમસીએ વાસ્તવિકતાની ખાતરી કરવા સર્વે હાથ ધર્યો હોવાનું સુધરાઈના અધિકારીએ જણાવ્યું હતું.