વડોદરા : 10 વર્ષ પહેલા ભાજપે વડોદરાના લોકોને 24 કલાક પાણી આપવાના સપના બતાવીને કોર્પોરેશનની બે ચૂંટણીઓમાં ખોબે ખોબા મતો મેળવ્યા હતા.પરંતુ, 10 વર્ષ પછી પણ વડોદરાવાસીઓને 24 કલાક પાણી મળતું નથી.આગામી દિવસોમાં પણ 24 કલાક પાણી મળે તેવી કોઇ શક્યતાઓ નથી. 24 કલાક પાણીના પાયલોટ પ્રોજેક્ટ માટે કરવામાં આવેલો 40 કરોડ રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે.વડોદરાના લોકોને 24 કલાક પાણી પૂરું પાડવાની વાત તો દૂર ભાજપી શાસકો પૂરતા પ્રેશરથી અને શુદ્ધ પાણી આપવામાં પણ સદંતર નિષ્ફળ પુરવાર થયા છે.વડોદરાના લોકોને મોટા સપના બતાવીને મતો મેળવનાર ભાજપાએ આ વખતની ચૂંટણીમાં 24 કલાક પાણી આપવાનો મુદ્દો બોલવાનું બંધ કરી દીધું છે.25 વર્ષથી વડોદરા મનપામાં સત્તામાં બેઠેલા ભાજપના શાસકોની અણઆવડતના કારણે આવનારા હજી કેટલા વર્ષો સુધી પાણી વિના વલખાં મારવા પડશે તે કહેવું મુશ્કેલ છે.
વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની છે,જેવી કે,પાણી,ડ્રેનેજ, રસ્તા,વીજળી અને સફાઇનો સમાવેશ થાય છે.પાલિકામાં છેલ્લા 25 વર્ષથી સત્તા ભોગવી રહેલા ભાજપના સત્તાધિશો પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ સંતોષકારક રીતે પૂરી પાડવામાં નિષ્ફળ નિવડ્યા છે.પાલિકા દ્વારા વડોદરાના લોકોને 24 કલાક પાણી આપવાની વાત તો બાજુ ઉપર માંડ અડધો-એક કલાક પાણી પણ આપવામાં આવતું નથી.અનેક વિસ્તારોમાં દૂષિત પાણી આવવાની અને પ્રેશરથી પાણી મળતું ન હોવાની ફરિયાદો છે.ભાજપ દ્વારા વર્ષ-2010માં વડોદરાના લોકોને 24×7 પાણી આપવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. પાયલોટ પ્રોજેક્ટરૂપે વડોદરાના 4 નવા વિસ્તારો અને એક જૂના વિસ્તારમાં કામ શરૂ કરવામાં આવ્યું હતું. પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ સમગ્ર શહેરમાં 24×7 પાણી આપવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકવાનો હતો,પરંતુ,કોઇપણ જાતનો અભ્યાસ કર્યાં વિના શરૂ કરવામાં આવેલો પાયલોટ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હતો.જેમાં રૂપિયા 40 કરોડનો ખર્ચ થયો હતો,જે પાણીમાં ગયો હતો.કોરોડો રૂપિયાનો ખર્ચ કર્યાં પછી 24×7 પાણીનો પ્રોજેક્ટ નિષ્ફળ ગયા પછી પણ ભાજપ દ્વારા વડોદરાના લોકોને 24×7 પાણી આપવાના સપના બતાવીને કોર્પોરેશનની ચૂંટણીમાં મતો લેવાનું ચાલુ રાખ્યું છે,પરંતુ, વાસ્તવિકતા એ છે કે, વડોદરામાં 24×7 પાણી પ્રોજેક્ટ શરૂ થવો શક્ય નથી.
વર્તમાન નેટવર્કમાં 24 કલાક પાણી આપવુ શક્ય નથી
24×7 પાણીના પ્રોજેક્ટ એટલા માટે શક્ય નથી કે, આ પ્રોજેક્ટ અમલ માટે વર્તમાન નેટવર્ક ચાલે તેમ નથી. 24 કલાક પાણી આપવા માટે હાલનું પાણીનું નેટવર્ક બદલવું પડે તેમ છે.પાણી માપવા માટે બેસાડવામાં આવેલા મીટરોમાં પાણીનું બિલ કેવી રીતે આપવું તે અંગે કોર્પોરેશનમાં કોઇ અધિકારી પાસે જ્ઞાન નથી. 24×7 પાણી પ્રોજેક્ટમાં સંપ મોટા હોય છે અને ટાંકી નાની હોય છે,જેથી હાલનું પાણીનું નેટવર્ક બદલવું પડે અને તે શક્ય નથી.
મોટા મોટા સપના બતાવ્યા પણ પરિણામ શૂન્ય
24×7 પાણીના પ્રોજેક્ટને શરૂ કરવા માટે શરૂ કરવામાં આવેલા પાયલોટ પ્રોજેક્ટમાં રૂપિયા 40 કરોડનો ખર્ચ કરી દેવામાં આવ્યો છે,પરંતુ,પરિણામ મળ્યું નથી.જ્યાં સુધી નેટવર્ક બદલવામાં ન આવે ત્યાં સુધી 24 કલાક પાણી આપવાનો પ્રોજેક્ટ શક્ય નથી.નોંધનીય બાબત એ છે કે, ભાજપના શાસકો દ્વારા વર્ષ-2011-12, 2012-13, 2013-2014 અને 2014-2015ના બજેટમાં 24×7 પાણીનો પ્રોજેક્ટ બતાવીને વડોદરાની પ્રજા સાથે છેતરપિંડી કરી હતી.
વડોદરા મહાનગરપાલિકા પાણી પુરવઠા વિભાગના અધિકારી અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે, વર્ષ-2010માં નુર્મ યોજના હેઠળ વડોદરાના લોકોને 24×7 પાણી આપવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો.જેમાં પાયલોટ પ્રોજેક્ટરૂપે વડોદરાના નવા ચાર વિસ્તારો કપુરાઇ, સયાજીપુરા, નોર્થ હરણી અને છાણી તેમજ જૂના આજવા રોડ ટાંકી વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો.24×7 પાણી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં નેટવર્ક ઉભું કરવા માટે ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. ટાંકી બનાવવામાં આવી હતી. સંપ બનાવવામાં આવ્યા હતા.નેટવર્ક તૈયાર થયા બાદ 24×7 પાણી આપવા માટે અને પાણીના બિલો આપવા માટે નવા વિસ્તારોમાં 11 હજાર અને જૂના વિસ્તારોમાં 16 હજાર પાણીના મીટરો પણ મૂકવામાં આવ્યા હતા. બાકીના 9 હજાર જેટલા પાણીના મીટરો પાણીગેટ સ્ટોરમાં મૂકવામાં આવેલા છે.
છાણીમાં 24 કલાક પાણી આપવાની શરૂઆત પણ કરી હતી,પરંતુ, બિલ કેવી રીતે આપવું તે શક્ય બન્યુ ન હતું.જેથી વર્ષ-2018માં વોટર મીટર પોલિસી તૈયાર કરવામાં આવી હતી.આ વોટર મીટર પોલિસી સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે, પરંતુ, સભામાં મંજૂર થઇ નથી. જોકે,વોટર મીટર પોલિસી તૈયાર થયા પછી પણ 24 કલાક પાણી આપી શકાય તેવી સ્થિતિ નથી.વડોદરામાં પાણીના સ્ત્રોતની વાત કરવામાં આવે તો આજવા સરોવરમાંથી 145 એમ.એલ.ડી., મહીસાગર નદીમાંથી 300 એમ.એલ.ડી. અને ખાનપુર (નર્મદા કેનાલ)માંથી 75 એમ.એલ.ડી. તેમજ 25 એમ.એલ.ડી. ટ્યુબવેલમાંથી લેવામાં આવે છે.વડોદરાના લોકોની 560 એમ.એલ.ડી. પાણીની માંગ સામે 545 એમ.એલ.ડી. પાણીની આવક છે. આમ 15 એમ.એલ.ડી. પાણીની ઘટ પડે છે.
વડોદરાના આજવા-વાઘોડિયા રિંગ રોડ ઉપર શ્યામલ ડુપ્લેક્સમાં રહેતા જયેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મારા ઘરે 5 વર્ષ પહેલાં પાલિકા પાણીનું મીટર નાખી ગઈ છે, પરંતુ, 24 કલાક પાણી આપવામાં આવતું નથી.મીટર પણ ખરાબ થઇ ગયું હશે. અમને 24 કલાક પાણી ક્યારે મળશે તેની ખબર નથી. મને યાદ છે જ્યારે પાણીનું મીટર નાખવા માટે કર્મચારીઓ આવ્યા હતા,ત્યારે તેઓએ જણાવ્યું હતુ કે,તમને 24 કલાક પાણી મળશે અને તેનું બિલ ભરવાનું આવશે.પરંતુ,મીટર નાખી ગયા પછી કોઇ કર્મચારી દેખાયા નથી. 24 કલાક પાણીની વાત તો બાજુ ઉપર રહી હાલમાં જ પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી.અમારા ઘરની ટાંકી પણ પૂરી ભરાતી નથી.
વડોદરામાં જ્યાં સુધી નેટવર્ક બદલવામાં ન આવે ત્યાં સુધી 24 કલાક પાણી આપવું શક્ય નથી. પરંતુ, કોર્પોરેશનમાં 25 વર્ષ સત્તા ભોગવનાર ભાજપ દ્વારા વડોદરાના લોકોને 24 કલાક પાણી આપવાના બે ચૂંટણીઓમાં વચનો આપીને રીતસરની છેતરપિંડી કરી હતી.વડોદરાના લોકને 24 કલાક પાણી તો ઠીક હાલની તારીખમાં પૂરતા પ્રેશરથી અડધો કલાક પણ પાણી મળતું નથી.ગત વર્ષમાં પૂર્વ વિસ્તારમાં લોકોને સતત 8 માસથી ડહોળું પાણી પીવાનો વખત આવ્યો છે. જેમાં કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.આમ ભાજપ દ્વારા વડોદરાની પ્રજાને પાણી પ્રોજેક્ટ,સ્માર્ટ સિટી જવા પ્રોજેક્ટો બતાવીને મુર્ખ બનાવવા સિવાય કશું કર્યું નથી. 24×7 પાણીના પ્રોજેક્ટમાં મીટર ખરીદીથી લઇને પાઇપ લાઇનોમાં મોટો ભ્રષ્ટાચાર પણ થયો હતો. જેની વિજિલન્સ તપાસ સોંપાઇ હતી. જે વિજિલન્સ તપાસનું શું થયું તેની કોઇને ખબર નથી.
ખુદ પૂર્વ મેયર જ 24×7 પાણીના પ્રોજેક્ટ અંગે કંઇ જાણતા નથી
વડોદરાના પૂર્વ મેયર ડો. જીગીશાબહેન શેઠે 24×7 પાણીના પ્રોજેક્ટ અંગે નિખાલસતાથી જણાવ્યું હતું કે,વર્ષો પૂર્વે આ પ્રોજેક્ટ અમલમાં આવ્યો હતો. પાયલોટ પ્રોજેક્ટમાં છાણી ગામ વિસ્તારમાં 24 કલાક પાણી આપવાનું શરૂ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ, કોઇ કારણસર તે પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ વિષે મારી પાસે વધુ માહિતી નથી.કારણે તે સમયે હું કોર્પોરેશનમાં નહોતી.
વિજિલન્સ તપાસનો રિપોર્ટની વિજિલન્સ અધિકારીને જ ખબર નથી
વિજિલન્સ અધિકારી ભુપેન્દ્ર શેઠે જણાવ્યું હતું કે, 24×7 પાણી પ્રોજેક્ટ અંગેની તપાસ વિજિલન્સ વિભાગને સોંપાઇ ત્યારે હું ન હતો.આ પ્રોજેક્ટમાં શું થયું છે તેની પણ મને હાલ ખબર નથી.મારી વિજિલન્સ કચેરીના લાગતા વળગતા અધિકારીઓ-કર્મચારીઓને પૂછતા તેઓને પણ કંઇ ખબર નથી. અત્યારે વિજિલન્સ તપાસનો રિપોર્ટ કંઇ ઓફિસમાં છે,તેની પણ મને ખબર નથી. અને તેમાં શું થયું તેની પણ ખબર નથી.